ભાવનગર-રાજકોટ હાઈવે પર અકસ્માત નડતાં ભાજપ નેતાનું નિધન

May 29, 2025

ભાવનગર-રાજકોટ હાઈવે બુધવારે (28 મે) મોડી રાત્રે અકસ્માત થયો હતો, જેમાં ભાજપ નેતાના મોતના સમાચાર સામે આવ્યા છે. બાઈક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત સર્જાતા ભાજપ નેતા મૂળજી મિયાણીનું મોત નિપજ્યું હતું. 

મળતી માહિતી અનુસાર, ભાવનગરના સિહોરમાં ગઢુલા ગામ નજીક ભાજપ નેતા મૂળજી મિયાણીનો અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાયો હતો. મૂળજી મિયાળી ટુ-વ્હીલર બાઇક લઈ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા તેમ સમયે અચાનક બાઇક સ્લીપ ખાઈ જતા અજાણ્યા વાહન સાથે ટકરાઈ અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. હાલ સમગ્ર બનાવને ધ્યાને લઈ સોનગઢ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, પોલીસે હજુ સુધી અકસ્માતનું કારણ સ્પષ્ટ નથી કર્યું. 

ભાજપ નેતાના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાં ભાજપના આગેવાનો તેમજ પરિવાર સિહોરની CHC હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં.

નોંધનીય છે તે, મૂળજી મિયાણી કિસાન મોરચાના સભ્ય તેમજ ભાવનગર જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન રહી ચુક્યા છે. તેમની પત્ની રૈયાબેન મિયાણી પણ ભાજપમાં જોડાયેલા છે અને હાલ જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે.