સીરિયામાં ફરી લોહિયાળ સંઘર્ષ, બે દિવસમાં 1000ના મોત

March 09, 2025

સીરિયા : સીરિયામાં પરિસ્થિતિ બગડી રહી છે. સુરક્ષા દળો અને પૂર્વ પ્રમુખ બશર અલ-અસદના સમર્થકો વચ્ચે બે દિવસની લોહિયાળ હિંસામાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જે છેલ્લા 14 વર્ષમાં સીરિયામાં થયેલી સૌથી મોટી હિંસા ગણાવાઈ રહી છે. યુકે સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ અનુસાર, મૃતકોમાં 745 નાગરિકોનો સમાવેશ થાય છે જેમને ગોળી મારી દેવામાં આવી હતી. આ ઉપરાંત, સરકારી સુરક્ષા દળોના 125 સભ્યો અને અસદ સાથે જોડાયેલા સશસ્ત્ર જૂથોના 148 આતંકીઓ પણ માર્યા ગયા. લતાકિયા શહેરની આસપાસના મોટા વિસ્તારોમાં વીજળી અને પીવાનું પાણી કાપી નાખવામાં આવ્યું છે.


સીરિયાની સરકારે કહેવું છે કે, 'અમે અસદના સમર્થકો દ્વારા કરવામાં આવતા હુમલાઓ સામે કાર્યવાહી કરી રહી છે.' તેમણે આ મોટા પાયે થયેલી હિંસા માટે વ્યક્તિગત લોકોના કાર્યોને દોષી ઠેરવ્યા. ગુરુવારે દરિયાકાંઠાના શહેર જબલેહ નજીક સુરક્ષા દળોએ એક વ્યક્તિની અટકાયતમાં લેવાનો પ્રયાસ કર્યો ત્યારે સીરિયામાં હિંસા શરૂ થઈ હતી.  સીરિયાની નવી સરકાર પ્રત્યે વફાદાર સુન્ની મુસ્લિમ બંદૂકધારીઓએ અસદના લઘુમતી અલાવી સમુદાયના સભ્યોની હત્યા કરવાનું શરૂ કર્યું ત્યારથી બંને વચ્ચે અથડામણ ચાલુ છે. પરંતુ આ હયાત તહરિર અલ-શામ માટે એક મોટો આંચકો છે, કારણ કે તેના નેતૃત્વમાં બળવાખોર જૂથોએ અસદના શાસનને ઉથલાવી નાખ્યું હતું.


સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે વર્ષ 2021ના ​​અહેવાલ અનુસાર,સીરિયામાં બશર અલ-અસદના શાસન દરમિયાન જેલમાં 1 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. આમાંથી, ફક્ત સૈદનાયા જેલમાં 30 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. આ જેલ ત્રાસ, હત્યા અને ગુમ થવા માટે કુખ્યાત રહી છે. 2011થી સૈદનાયા જેલનો ઉપયોગ અસદના ક્રૂર શાસનની નીતિઓને અમલમાં મૂકવા માટે કરવામાં આવી રહ્યો છે.