ભારતની સ્ટ્રાઇકથી પાક. બજારમાં કડાકો ઇન્ડેક્સ 7,000 પોઇન્ટ ખાબક્યો

May 09, 2025

- ઇન્ડેક્સ સતત ઘટતાં જ જતાં ટ્રેડિંગ અટકાવી દેવું પડયું

- પહલગામના હુમલા પછી પાક. શેરબજાર 15 હજાર પોઇન્ટથી પણ વધારે પોઇન્ટ તૂટયું

કરાચી : ભારતે પાકિસ્તાનના નવ શહેરોમાં ડ્રોન-મિસાઇલ હુમલા કરતાં પાક. શેરબજારમાં રીતસરનો કડાકો બોલ્યો હતો. પાક.નું શેરબજાર ૭,૦૦૦થી પણ વધારે પોઇન્ટ ગગડી જતાં ત્યાં ટ્રેડિંગ અટકાવી દેવું પડયું હતું અને તે ૧,૦૨,૯૯૭ પોઇન્ટ પર બંધ આવ્યું હતું. આ પહેલા ભારતે અગાઉના દિવસે ઓપરેશન સિંદૂર હાથ ધર્યુ ત્યારે પણ પાક.નું સ્ટોક માર્કેટ છ ટકા તૂટયું હતું. 


ભારતના હુમલાના પગલે પાકિસ્તાની શેરબજારમાં ૨૦૨૧ એટલે કે કોવિડના સમયગાળા પછી સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉત્તરોતર બગડી રહેલી સ્થિતિના કારણે રોકાણકારોમાં બેચેની છે.  ગુરુવારે પ્રારંભમાં બજારમાં ઘટાડો આવ્યો ત્યારે આશા હતી કે બુધવારની જેમ તેમા ઘટાડા પછી રિકવરી આવશે, પણ તેવું થયું ન હતું. તેના બદલે બજાર સતત ઘટતા જ જતાં સાત ટકાથી પણ વધુ ઘટીને ક્રેશ થયું હતું. તેના લીધે પાક. શેરબજારમાં ટ્રેડિંગ રોકવાની ફરજ પડી હતી.


આમ ભારતીય હુમલાથી ગભરાયેલા પાકિસ્તાનના શેરબજારમાં વેચવાલી જારી છે. રોકાણકારોમાં ભારે વેચવાલી ચાલી રહી છે. આ સ્થિતિ ૨૨ એપ્રિલના રોજ બેસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલા પછીની છે. તેના પછી પાક.નો મુખ્ય ઇન્ડેક્સ કેએસઇ લગભગ ૧૫,૦૦૦ પોઇન્ટથી વધારે તૂટી ચૂક્યો છે.પહલગામ હુમલાના અગાઉના દિવસે પાક.નો કેએસઇ ઇન્ડેક્સ ૧,૧૮,૩૮૩ પોઇન્ટ પર બંધ થયો હતો. 
ઓપરેશન સિન્દૂર હેઠળ ભારતની બેવડી સ્ટ્રાઇકની પાકિસ્તાન પર અનેકગણી અસર થઈ છે. ભારતે તેના હેઠળ પાકિસ્તાન સ્થિત અનેક આતંકવાદી આશ્રયકેન્દ્રો ધ્વસ્ત કર્યા છે.