હિમાચલમાં મેઘતાંડવ... ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલનથી 91 લોકોના મોત, 22000 પશુ-પક્ષીઓ તણાયાં, રૂ.749 કરોડનું નુકસાન

July 10, 2025

હિમાચલ પ્રદેશમાં ચોમાસાના વરસાદે ભારે તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં આ આફતમાં 749 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રાજ્યમાં વરસાદ, પૂર, ભૂસ્ખલનની વિવિધ ઘટનાઓમાં 91 લોકોના મોત અને 131 ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં હજુ 34 લોકો ગુમ હોવાના અહેવાલ સામે આવ્યા છે. મેઘતાંડવના કારણે 207 રસ્તાઓ પર આવન-જાવન બંધ થઈ ગઈ છે, જ્યારે 132 ટ્રાન્સફોર્મર પણ બંધ થતાં વીજળીનું સંકટ પણ ઉભું થયું છે. વિવિધ ઘટનાઓમાં 22,385 પશુ-પક્ષીઓ પાણીમાં વહી ગયા છે. રાજ્યમાં અનેક સ્થળોએ નુકસાન થયું છે, જેમાં 432 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા, 928 ઘરોને નુકસાન, 880 ગૌશાળાઓ પાણીમાં વહી ગઈ છે.

રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત્ છે. અહીં અનેક સ્થળોએ વરસાદ પડી રહ્યો હોવાના કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મંડીમાં પણ વરસાદ પડી રહ્યો હોવાથી બચાવ કામગીરી પર અસર પડી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, હિમાચલ પ્રદેશમાં હાલ વરસાદી માહોલ ચાલુ રહેશે. આ સમય દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

શિમલાના હવામાન કેન્દ્રએ 11 અને 12 જુલાઈએ રાજ્યના મંડી, શિમલા અને સિરમૌર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. 13થી 16 જુલાઈ દરમિયાન રાજ્યના લગભગ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 13થી 16 જુલાઈ દરમિયાન રાજ્યના ઉના, હમીરપુર, બિલાસપુર, કુલ્લુ, કાંગડા, મંડી, શિમલા, સોલન અને સિરમૌર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.