અમદાવાદ બાદ રાજકોટમાં શ્વાનનો આતંક: જીવલેણ હુમલામાં 6 વર્ષના બાળકનું મોત, માતાનું હૈયાફાટ રુદન

May 31, 2025

રાજ્યભરમાં શ્વાનના આતંકના કારણે અનેકવાર લોકોને અકસ્માતનો ભોગ બનવો પડે છે. અમદાવાદમાં થોડા દિવસ પહેલાં જ શ્વાનના આતંકના કારણે એક 4 માસની બાળકીને જીવ ગુમાવવો પડ્યો હતો, જેનો હજુ મહિનો પણ નથી થયો ત્યાં રાજકોટમાંથી ફરી આવી જ એક ઘટના સામે આવી છે. રાજકોટમાં શ્વાનના આતંકના કારણે માતા-પિતાએ પોતાના 6 વર્ષના વ્હાલસોયાને ગુમાવવો પડ્યો છે.  રાજકોટના શાપરમાં બિહારના શ્રમિક પરિવારનો 6 વર્ષનો દીકરો આયુષ યાદવ શ્વાનના આતંકનો ભોગ બન્યો છે. બાળક પોતાના ઘરની પાસે રમતો હતો તે દરમિયાન 5 જેટલાં શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કરી દીધો હતો. આ હુમલાથી બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. જોકે, પરિવારને આ અંગે જાણ થતાં તેમણે તુરંત બાળકને હોસ્પિટલ લઈ જવાની કવાયત હાથ ધરી હતી. જોકે, બાળક હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું, જ્યાર બાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.  સમગ્ર ઘટના વિશે બાળકની માતા આરોહી કુમારીએ રડતાં-રડતાં પોતાની પીડા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, 'મારો દીકરો ઘરની પાસે મહોલ્લામાં જ રમતો હતો, આ દરમિયાન એકાએક શ્વાનનું ટોળું આવ્યું અને મારા દીકરાને ખેંચીને લઈ ગયું અને તેને બટકાં ભરીને ફાડી ખાધો. આ દરમિયાન પાસેથી પસાર થતાં એક માણસે જોયું અને શ્વાનને ભગાડવાનો પ્રયાસ કર્યો અને બાદમાં મને જાણ કરવા આવ્યા. હું તુરંત બહાર આવી અને જોયું તો મારો દીકરો લોહીલુહાણ હતો અને શ્વાસ લઈ રહ્યો હતો. મે લોકોને તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવાનું કહ્યું પરંતુ, લોકોએ એમ્બ્યુલન્સની સલાહ આપી. અમે એમ્બ્યુલન્સ બોલાવી પરંતુ એમ્બ્યુલન્સ આવવામાં સમય લાગ્યો અને મારા દીકરાએ ત્યાં જ દમ તોડી દીધો'. મળતી માહિતી મુજબ, આ શ્રમિક પરિવાર મૂળ બિહારના પટનાના રહેવાસી છે અને, જાન્યુઆરી મહિનામાં જ રોજગાર માટે રાજકોટ આવ્યો હતો. બાળકના પિતાનું નામ અજીત યાદવ છે અને માતાનું નામ આરોહી યાદવ છે. દુર્ઘટના સમયે બાળકના પિતા રાજકોટથી અમદાવાદ શ્રમિક કામ માટે જઈ રહ્યા હતાં. તેમને બે દીકરા છે, જેમાંથી નાનો દીકરો આયુષ યાદવ શ્વાનના હુમલાનો ભોગ બન્યો હતો.