25 લાખ ઘરોમાં વીજળીનું બિલ 0! આ યોજનામાં ફ્રી 300 યુનિટ સાથે 78 હજારની સબસિડી: સરકારનો દાવો

December 30, 2025

શિયાળામાં ગીઝર-હીટર અને ઉનાળામાં એસી-ફ્રીઝના વપરાશને કારણે સામાન્ય માણસ હંમેશા વધતા વીજળી બિલથી પરેશાન રહેતો હોય છે. પરંતુ કેન્દ્ર સરકારની 'પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના' મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ફેબ્રુઆરી 2024માં શરૂ થયેલી આ યોજના હેઠળ સરકારનો દાવો છે કે અત્યાર સુધીમાં દેશના 25 લાખથી વધુ પરિવારો પોતાના વીજળી બિલને 'બાય-બાય' કહી ચૂક્યા છે અને શૂન્ય બિલનો લાભ લઈ રહ્યા છે. પીએમ મોદીએ ફેબ્રુઆરી 2024માં આ યોજના લોન્ચ કરી હતી. સરકારનું લક્ષ્ય વર્ષ 2027 સુધીમાં દેશના 1 કરોડ ઘરો પર સોલર પેનલ લગાવવાનું છે. આ યોજના માત્ર વીજળી બિલ જ બચાવતી નથી, પરંતુ ક્લીન એનર્જીને પણ પ્રોત્સાહન આપે છે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ સોલર પેનલ ઇન્સ્ટોલેશનની બાબતમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. સરકારી આંકડાઓ મુજબ ગુજરાત 4,93,161 ઇન્સ્ટોલેશન સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે 3,63,811 પેનલ સાથે મહારાષ્ટ્ર બીજા અને 3,02,140 સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા ક્રમે આવે છે. આ યાદીમાં કેરળ 1,69,227 અને રાજસ્થાન 1,08,584 ઇન્સ્ટોલેશન સાથે ટોચના પાંચ રાજ્યોમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ લાભાર્થીઓને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવે છે, જે સામાન્ય પરિવારો માટે મોટું આર્થિક આશ્વાસન છે. સોલર પેનલ ઇન્સ્ટોલેશન માટે સરકાર દ્વારા આકર્ષક સબસિડી પણ જાહેર કરવામાં આવી છે, જેમાં 1થી 2 કિલોવોટની પેનલ માટે ₹30,000થી ₹60,000 સુધીની અને 2થી 3 કિલોવોટ કે તેથી વધુ ક્ષમતા ધરાવતી સિસ્ટમ માટે મહત્તમ ₹78,000 સુધીની આર્થિક સહાય સીધી બેન્ક ખાતામાં આપવામાં આવે છે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે સોલર પેનલનું આયુષ્ય આશરે 25 વર્ષ હોવાથી, એક વખતનું રોકાણ કરવાથી ગ્રાહકોને અઢી દાયકા સુધી મોંઘા વીજળી બિલમાંથી કાયમી મુક્તિ મળે છે.