ગુજરાતના મંત્રીમંડળનું 7 એપ્રિલ સુધીમાં થઈ શકે છે વિસ્તરણ, મોઢવાડીયા-સી.જે ચાવડાના સમાવેશની શક્યતા

March 22, 2025

ગુજરાત વિધાનસભા સત્ર પૂર્ણ થયા પછી એપ્રિલના પહેલા જ અઠવાડિયામાં રાજ્ય સરકારના મંત્રી મંડળના વિસ્તરણની વાતોએ જોર પકડ્યું છે. જ્યારે અધિકૃત સૂત્રો દ્વારા પણ આ વાત પર મહોર મારવામાં આવી છે. ગુજરાત સરકારમાં હાલ મુખ્ય મંત્રી સિવાય 8 કેબિનેટ મંત્રીઓ છે અને 8 રાજ્ય કક્ષાના મંત્રીઓ છે. જેમાં હવે વધારો થવાની પૂર્ણ શક્યતા સૂત્રો દ્વારા જણાવાવમાં આવ્યું છે. કેબિનેટ વિસ્તરણમાં જુના ભાજપના નેતાઓ કોંગ્રેસીઓને આપવામાં આવતા સ્થાનથી નારાજ છે. છતાં હાઇ કમાન્ડના આદેશ અને પૂર્વ કોંગ્રેસીઓને આપવામાં આવેલા વચન મુજબ ભાજપ તેમનો સમાવેશ મંત્રી મંડળમાં કરશે. પરંતુ આ મંત્રી મંડળ વિસ્તરણમાં હાલના મંત્રીમંડળમાં બેઠેલા 4 પૂર્વ કોંગ્રેસી મંત્રીઓમાંથી 2નું પત્તુ કાપીને ડૉ. સી જે ચાવડા અને અર્જુન મોઢવાડિયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવશે. કેન્દ્રીય ગુપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર આ મંત્રી મંડળ વિસ્તરણ મુદ્દે ભાવિ મંત્રીઓને અણસાર પણ આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકેના નામમાં હાઇ કમાન્ડમાં ગૂંચવણ અને મૂંઝવણ ઊભી થઈ છે. જેમાં હજી સુધી ફાઇનલ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ઉપરાંત મંત્રીમંડળ વિસ્તરણ સાથે રાજ્ય સરકારના અગત્યના ખાતાઓની પણ ફેર વહેંચણી કરવામાં આવશે જેમાં ભારણ અને વધુ પડતી જવાબદારી ચાલી રહ્યા મંત્રીઓનો ભાર ઓછો કરી અન્ય મંત્રીઓને કાર્યભાર સોંપવામાં આવશે.