'હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી...', CM વિજયથી ઈર્ષ્યાની વાતો પર ભડક્યા સુપરસ્ટાર રજનીકાંત

May 17, 2026

તમિલનાડુના રાજકારણમાં જોસેફ વિજયની પાર્ટી TVKએ સૌથી મોટી પાર્ટી બનીને નાની પાર્ટીઓના સમર્થનથી સરકાર બનાવી છે. ત્યારે પરિણામો બાદ પૂર્વ સીએમ એમ કે સ્ટાલિન સાથે રજનીકાંતની મુલાકાતને લઈને એવી વાતો વહેતી થઈ હતી કે રજનીકાંત, વિજય સીએમ બને તેનાથી ખુશ નથી અને તેમને ઈર્ષ્યા થઈ રહી છે. આ ટીકાઓથી નારાજ થઈને રજનીકાંતે ચેન્નાઈમાં પોતાના નિવાસ્થાને એક ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. રજનીકાંતે આક્ષેપો કરનારાઓને જડબાતોડ જવાબ આપતા સ્પષ્ટ કર્યું કે જો તેઓ અત્યારે મૌન રહેશે, તો લોકો અફવાઓને જ સાચું માની લેશે.


પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રજનીકાંતે જણાવ્યું કે તેઓ પોતે રાજકારણમાં નથી, તેથી વિજયના સીએમ બનવાથી તેમને ઈર્ષ્યા થવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. મારે વિજયની ઈર્ષ્યા શા માટે કરવી જોઈએ? હા, જો કમલ હાસન સીએમ બન્યા હોત તો કદાચ મને થોડી ઈર્ષ્યા થઈ શકી હોત! હું બિનજરૂરી બાબતો પર બોલું તેવો કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી. રજનીકાંતે કહ્યું કે તેમની અને વિજય વચ્ચે આશરે 25 વર્ષનો મોટો જનરેશન ગેપ છે. તેમણે વિજયને તેની શરૂઆતના દિવસોથી જોયો છે, તેથી તેઓ વિજય મુખ્યમંત્રી બને તેની સામે શા માટે વાંધો ઉઠાવે? તેઓ વિજયની આ સફળતાથી ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે.
રજનીકાંતે સ્વીકાર્યું કે પોતાની પહેલી જ ચૂંટણીમાં વિજય આટલી મોટી સફળતા મેળવીને સીએમ બની જશે તે જોઈને તેઓ પણ થોડા આશ્ચર્યચકિત થયા હતા, પરંતુ પરિણામો આવતાની સાથે જ તેમણે વિજયને ફોન કરીને અભિનંદન આપી દીધા હતા.