મુઝફ્ફરનગરમાં ફી ન ભરી એટલે પરીક્ષામાં બેસવા ન દીધો, વિદ્યાર્થીએ આત્મવિલોપન કર્યું

November 10, 2025

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના બુઢાણા સ્થિત ડીએવી કોલેજમાં બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 22 વર્ષીય વિદ્યાર્થી ઉજ્જવલ રાણા, જે બાગપત જિલ્લાના ભડલનો રહેવાસી છે, તેને કોલેજની પાંચ હજાર રૂપિયાની ફી માટે આચાર્યએ માર માર્યો. ત્યાર બાદ પોલીસે પણ તેની સાથે ગેરવર્તણૂક પણ કરી. ત્યારે આ અપમાનથી વ્યથિત થઈને વિદ્યાર્થીએ કૉલેજના ક્લાસરૂમમાં જ પેટ્રોલ છાંટીને આગ લગાવીને આત્મહત્યા કરી લીધી. ઉજ્જવલને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં દિલ્હી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જેમાં રવિવારે રાત્રે તેનું મોત થઈ ગયું છે. આ દુર્ઘટનાથી ગુસ્સે ભરાયેલા અન્ય વિદ્યાર્થીઓએ કોલેજના ગેટ પર વિરોધ પ્રદર્શન કર્યું. મેરઠના સરધનાના રહેવાસી આચાર્ય પ્રદીપ કુમાર વિરુદ્ધ આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. બુઢાણાના મોહલ્લા ખાકરોબાનમાં પરિવાર સાથે રહેતા ઉજ્જવલે આગ લગાવતા પહેલા જાહેર કરેલા વીડિયોમાં આરોપ લગાવ્યો કે 7 નવેમ્બરે આચાર્ય પ્રદીપ કુમારે તેને પોતાની ઓફિસમાં બોલાવ્યો અને યુનિવર્સિટી ફીના નામે પાંચ હજાર રૂપિયા જમા કરાવવાની વાત કરી. ઉજ્જવલે આચાર્યને જણાવ્યું કે, તે પરીક્ષા ફી યુનિવર્સિટીમાં ઓનલાઈન જમા કરાવી ચૂક્યો છે અને એક અઠવાડિયામાં શેરડીનું પેમેન્ટ મળતાં જ કોલેજની ફી પણ જમા કરાવી દેશે. આના પર, આચાર્યએ પહેલા પોતાની ઓફિસમાં ગાળાગાળી કરીને માર માર્યો અને ત્યારબાદ કોલેજના ગેટ પર લાવીને પણ તેની પીટાઈ કરી. આ મામલે ઉજ્જવલે મુખ્યમંત્રી, એસડીએમ અને પોલીસને ફરિયાદ કરી. કોલેજ પહોંચેલી પોલીસે પણ તેની સાથે ગેરવર્તણૂક કરી. બીજા દિવસે શનિવારે ઉજ્જવલ કોલેજ પહોંચ્યો અને સવારે લગભગ 11 વાગ્યે પોતાના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. સાથી વિદ્યાર્થીઓએ કોઈક રીતે આગ બુઝાવી અને લગભગ 80 ટકા દાઝેલા ઉજ્જવલને ગંભીર હાલતમાં પહેલા સીએચસીથી મેરઠ અને પછી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.