સુરતમાં આકરી ગરમીએ એકનો લીધો ભોગ, ઝાડા-ઉલટીના કારણે પાલનપુરના યુવાનનું મોત

April 07, 2025

સુરત : સુરત સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીએ કેર વર્તાવવાનું શરૂ કરી દીધો છે. ત્યારે છેલ્લા બે દિવસમાં સુરતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. વધતી જતી ગરમીના લીધે લોકોને ઝાડા-ઉલટી અને લૂ લાગવાની સમસ્યાઓ વધી ગઇ છે. ત્યારે સુરતના પાલનપુરમાં એક યુવકનું ગરમીના લીધે મોત નીપજ્યું છે. યુવકને બે દિવસથી ઝાડા-ઉલટી થતાં તબિયત ખરાબ થઇ હતી, ત્યારે આજે ઝાડા-ઉલટીના લીધે યુવકનું મોત નીપજ્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના પાલનપુર ટોલનાકા પાસે રહેતા 36 વર્ષીય સાંતદયાલ રામ આચલ નામના યુવકને ગરમીના લીધે ઝાડા-ઉલટીની સમસ્યા થઇ હતી. જેથી યુવકે બે દિવસ ઘરે સારવાર કરી હતી, પરંતુ આ સારવાર જીવલેણ સબિત થઇ છે. ઝાડા-ઉલટીની સમસ્યાને હળવાશમાં લેતાં યુવકની તબિયત વધુ લથડતાં તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.  

હવામાન વિભાગની આગાહી મુજબ, 8-9 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 10 જિલ્લામાં યલો ઍલર્ટની આગાહી છે, ત્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બંને દિવસે કચ્છ જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણીને લઈને ઑરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે 10 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ચાર દિવસ ગરમ અને ભેજવાળુ હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.