ઉમરગામમાં સામુહિક આપઘાત કેસનો ભેદ ઉકેલાયો, સ્યુસાઈડ નોટના આધારે 4 આરોપીની ધરપકડ

April 06, 2025

વલસાડ : ઉમરગામના સોળસુંબા ગામે નિલકંઠ એપાર્ટમેન્ટના એક ફલેટમાંથી 27 માર્ચ, 2025ના રોજ દંપતિ અને અઢી વર્ષીય માસૂમ બાળકની ભેદી સંજોગોમાં લાશ મળી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને સ્યુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પરિવારના સામુહિક આપઘાત કેસનો ભેદ ઉકેલાયો છે. જેમાં નકલી કંપનીમાં નાણાં રોકાણ કરવાની પૈસા ગુમાવતાં મૃતકે પરિવાર સાથે મોતને વ્હાલુ કર્યું હોવાનું સામે આવ્યું છે. ઉમરગામના સોળસુંબા ગામે નિલકંઠ એપાર્ટમેન્ટના ફલેટ નં. 304માંથી દંપતિ સહિત ત્રણની લાશ મળી આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ પતિ શિવમની ફાંસો ખાધેલી હાલત અને બેડ પર પત્ની આરતીની ગળેફાંસો ખાધેલી હાલતમાં તથા પુત્ર નક્ષની લાશ મળી આવી હતી. સમગ્ર ઘટના પોલીસ તપાસ આદરી હતી. જેમાં મૃતકે લખેલી સુસાઈડ નોટ પોલીસના હાથે લાગી હતી. 
સુસાઈડ નોટમાં મૃતકે લખ્યું હતું કે, 'FX બુલિયન વેબસાઈટ પર સંજય પટેલ નામના વ્યક્તિએ રોકાણ કરાવ્યું હતું. આ પછી તે રોકાણનું વળતર આપતો ન હતો અને ફોન પણ ઉઠાવતો ન હોવાથી આપઘાત કરી રહ્યું છું.' સુસાઈડ નોટના આધારે પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરતાં સુરતના મુખ્ય આરોપી મોહમ્મદ અઝમલ ગરાણા સુધી પહોંચી હતી. મોહમ્મદ અઝમલ FX બુલિયન નામે નકલી ટ્રેડિંગ કંપની બનાવીને લોકો પાસે રોકાણ કરાવતો હતો. આ મામલે પોલીસે મોહમ્મદ અઝમલ સહિત દાનીશ સલીમ ઉશ્માન અલી શાહ, મોહમ્મદ ઝુનૈદ અને રાજકોટમાં રહેતા શહેબાઝ ઉંમર કાસમ માલવિયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.