ભારત અને ચીન એકબીજાના પાર્ટનર : જિનપિંગ અને PM મોદીની બેઠકથી ટ્રમ્પને સંદેશો

August 31, 2025

દિલ્હી : ચીનના તિયાનજિનમાં SCO સમિટમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. અમેરિકા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે યોજાયેલી મુલાકાત પર વિશ્વભરની નજર છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, મોદી અને જિનપિંગ એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે, બંને દેશો એકબીજાના સ્પર્ધી નહીં, પરંતુ વિકાસના ભાગીદાર છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે, મતભેદોને વિવાદ ન બનાવવો જોઈએ.
SCO સમિટ દરમિયાન મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ છે. આ વાતચીતમાં બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા અને સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ ચીનના પ્રમુખ સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવતાં તેને વૈશ્વિક જોખમ ગણાવ્યું હતું. તેમણે ચીનને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ટેકો આપવા અપીલ કરી પણ કરી હતી. જિનપિંગ સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવીને, પીએમ મોદીએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી છે.  ઉલ્લેખનીય છે, ઓપરેશન સિંદૂર દરમિયાન ચીને ખુલ્લેઆમ પાકિસ્તાનને મદદ કરી હતી અને ઘણા વર્ષોથી ચીન આતંકવાદના સૌથી મોટા કેન્દ્ર પાકિસ્તાનને આર્થિક અને લશ્કરી મદદ કરી રહ્યું છે.


વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'પીએમ મોદી અને જિનપિંગે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ઉપરાંત આતંકવાદ જેવા પડકારોનો સામનો કરવા જોડાણ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત અને ચીન વિકાસના ભાગીદાર છે, હરીફ નથી અને મતભેદોને વિવાદોમાં ફેરવવા જોઈએ નહીં. પીએમ મોદીએ જિંગપિંગને 2026માં ભારત દ્વારા યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આમંત્રણ પણ આપ્યું હતું.


જિનપિંગ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ દ્વિપક્ષીય સંબંધોના સતત વિકાસ માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુમેળના મહત્વ પર ચર્ચા કરી હતી. બંને વડાએ સરહદ  મદ્દે વાજબી, નિષ્પક્ષ અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ગયા વર્ષે સૈનિકોની સફળ વાપસી અને ત્યાર બાદથી સરહદ પર શાંતિ જાળવી રાખવા બદલ સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.'