લંડનમાં દેખાવો કરતાં હિન્દુઓ સામે ખાલિસ્તાનીઓ રસ્તે ઉતર્યા, બાંગ્લાદેશને કર્યું સમર્થન

December 28, 2025

લંડન ઃ બાંગ્લાદેશમાં તાજેતરમાં દીપુ ચંદ્ર દાસ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં લંડનમાં વસતા બાંગ્લાદેશી હિન્દુઓએ એકઠા થઈને દાખાવો કર્યો હતો. તેમની મુખ્ય માંગણીઓ હતી કે, દીપુ દાસના હત્યારાઓને તાત્કાલિક કડક સજા થાય.  આશ્ચર્યજનક રીતે, જ્યારે હિન્દુઓ ન્યાય માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ત્યારે ખાલિસ્તાની સમર્થકોનું એક જૂથ ત્યાં પહોંચી ગયું હતું. આ જૂથ મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી બાંગ્લાદેશની વચગાળાની સરકારના બચાવમાં ઢાલ બનીને ઊભું રહ્યું હતું. ખાલિસ્તાનીઓએ હિન્દુ દેખાવકારોને ડરાવવાનો પ્રયાસ કર્યો અને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિસ્થિતિને વણસતી જોઈ લંડન પોલીસે તુરંત દરમિયાનગીરી કરી બંને જૂથો વચ્ચે માનવ સાંકળ બનાવી શાંતિ જાળવી હતી.
આ ઘટનાએ વૈશ્વિક સ્તરે ભારત વિરોધી શક્તિઓ વચ્ચે વધતા જોડાણ તરફ ઈશારો કર્યો છે. 'શીખ ફોર જસ્ટિસ' (SFJ) ના આતંકવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુએ તાજેતરમાં જ અમેરિકાથી એક વીડિયો જાહેર કરીને બાંગ્લાદેશના ઉગ્રવાદીઓને ખુલ્લું સમર્થન આપ્યું હતું. હવે લંડનમાં ખાલિસ્તાનીઓનું બાંગ્લાદેશ સરકારના સમર્થનમાં ઉતરવું એ આ જોડાણને વધુ સ્પષ્ટ કરે છે.