સિદ્ધારમૈયા રાજીનામાં પછી પણ કિંગમેકર! પુત્ર માટે ખાસ મંત્રાલયો પર નજર, રાહુલ ગાંધીને આપ્યું 'વિશ લિસ્ટ'

May 29, 2026

સિદ્ધારમૈયાએ રાજ્યસભાની ઓફર ઠુકરાવી, કર્ણાટકના રાજકારણમાં જ રહેશે

દિલ્હી- કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાના બીજા જ દિવસે સિદ્ધારમૈયાએ શુક્રવારે દિલ્હીમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં તેમણે પક્ષના હાઇકમાન્ડ સમક્ષ પોતાની માગણીઓની એક યાદી રજૂ કરી છે. આ યાદીમાં ડિકે શિવકુમારના નેતૃત્વવાળી નવી કેબિનેટમાં તેમના પુત્ર યતીન્દ્ર માટે મહત્ત્વના મંત્રાલયની માગ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધારમૈયાએ રાજ્યસભા અને MLC નિમણૂકો માટેના નામોની યાદી સોંપવાની સાથે કેબિનેટ વિભાગો માટે પોતાની પસંદગીઓ પણ વ્યક્ત કરી છે.તેમણે પોતાના પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયા માટે તબીબી શિક્ષણ અને પછાત વર્ગ કલ્યાણ મંત્રાલય ફાળવવા માટે દબાણ કર્યું છે. વૈકલ્પિક રીતે, તેમણે ઉદ્યોગ અથવા જળ સંસાધન મંત્રાલયની પણ માગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જળ સંસાધન મંત્રાલય અગાઉ ડિકે શિવકુમાર સંભાળતા હતા.


ડિકે શિવકુમારને સત્તા સોંપવાનો મામલો શાંત પડ્યા બાદ, હાઇકમાન્ડ દ્વારા સિદ્ધારમૈયાને રાજ્યસભાની બેઠક ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો છે. તેઓ કર્ણાટકના સ્થાનિક રાજકારણમાં જ રહેવા માંગે છે. ગુરુવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાના ટૂંક સમય બાદ સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, "હું સક્રિય રાજકારણમાં જ રહીશ. મને રાષ્ટ્રીય રાજકારણમાં કોઈ રસ નથી. મને રાજ્યસભા વિશે પણ પૂછવામાં આવ્યું હતું, પરંતુ મેં ના પાડી દીધી છે. હું કર્ણાટકના રાજકારણમાં જ રહેવા માંગુ છું."