અમદાવાદમાં નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર ધો.10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો, જૂની અદાવતમાં ખેલાયો ખૂનીખેલ

January 19, 2026

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના નારણપુરા વિસ્તારમાં બની છે. સોલા રોડ પરના ભૂયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી નેશનલ સ્કૂલની બહાર આજે સવારે ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભરબજારમાં થયેલા આ હુમલાને પગલે સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.  જૂની અદાવત બની હુમલાનું કારણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ હુમલા પાછળ ચાર મહિના જૂની અદાવત જવાબદાર છે. શાળામાં જ ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ જૂની તકરારની અદાવત રાખીને આજે સવારે જ્યારે વિદ્યાર્થી શાળાએ પહોંચ્યો, ત્યારે હુમલાખોર વિદ્યાર્થીએ અન્ય સાથીદારો સાથે મળીને તેના પર હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા હુમલાખોરે છરી કાઢી વિદ્યાર્થી પર ઘા ઝીંકી દીધા હતા. અમદાવાદ સિટીના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, 'નેશનલ સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની પરીક્ષા પૂરી થઈ અને બહાર નીકળ્યા પછી અન્ય યુવકો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો છે તેવું નેશનલ સ્કૂલના સંચાલકે ટેલિફોનિક પૂછતાછ કરતા માહિતી મળી છે. પ્રાથમિક માહિતીમાં સંચાલક દ્વારા જે રીતે જણાવવામાં આવેલું છે તે પ્રમાણે વિદ્યાર્થી જે છે શાળાનો જે ઈજાગ્રસ્ત છે તેને નજીકની હોસ્પિટલમાં એને સારવાર આપી અને એને રજા પણ આપવામાં આવી છે.' પોલીસની કાર્યવાહી ઘટનાની જાણ થતા જ ઘાટલોડિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ધોરણ 10ના સગીર વયના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા આ ખૂનીખેલથી પોલીસ પણ સ્તબ્ધ છે.