જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત બગડી, ICUમાં દાખલ

March 26, 2024

યુપીની બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત બગડી હતી, ત્યારબાદ તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. સૂત્રોનું માનીએ તો મુખ્તારની મેડિકલ કોલેજના આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. જો કે, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન અને જેલ પ્રશાસને મુખ્તારની તબિયત અંગે સંપૂર્ણ મૌન જાળવ્યું છે. આ સમયે તેના દીકરાએ નિવેદન આપતાં કહ્બેયું છે કે તેના પિતાની હાલત ગંભીર છે. બે દિવસ પહેલા મુખ્તાર અંસારીની સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી દાખવવા બદલ એક જેલર અને બે ડેપ્યુટી જેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પહેલા મુખ્તાર અંસારીએ આરોપ લગાવ્યો હતો કે તેમને જેલમાં સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું. 21 માર્ચે જ્યારે મુખ્તાર અંસારી બારાબંકીની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં પ્રખ્યાત એમ્બ્યુલન્સ કેસમાં હાજર થઈ રહ્યા હતા, ત્યારે તેમના વકીલે કોર્ટમાં અરજી આપી હતી કે 19 માર્ચની રાત્રે મને મારા ભોજનમાં ઝેરી પદાર્થ આપવામાં આવ્યો હતો. જેના કારણે મારી તબિયત લથડી હતી. મને લાગે છે કે હું ગૂંગળામણમાં જઈ રહ્યો છું અને હું ખૂબ જ નર્વસ અનુભવું છું. 40 દિવસ પહેલા પણ મને ઝેરી દવા આપવામાં આવી હતી.