દિલ્હીમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 2ના મોત, કાટમાળ નીચે અનેક લોકો ફસાયાની આશંકા

September 06, 2026

50 જેટલા વિદ્યાર્થીઓ કાટમાળમાં ફસાયા હોવાની આશંકા

દિલ્હી : દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં સત્ય નિકેતન માર્કેટ ખાતે રવિવારે બપોરે એક બહુમાળી પીજી (PG) ઇમારત ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. બેઝમેન્ટમાં ચાલી રહેલા સમારકામ દરમિયાન અચાનક આખી બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ જતાં અંદર હાજર વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો કાટમાળ નીચે દબાયા હતા. બચાવ ટુકડીઓએ અત્યાર સુધીમાં 8 લોકોને બહાર કાઢ્યા છે, જેમાંથી 2 લોકોના મોત નીપજ્યા છે. દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ પાસે બનેલી આ ઘટના બાદ એનડીઆરએફ, પોલીસ અને ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

સત્ય નિકેતન માર્કેટમાં નાનકપુરા ગુરુદ્વારા નજીક આવેલી આ ઇમારત રવિવારે બપોરે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. દિલ્હી ફાયર સર્વિસ અને સાઉથ કેમ્પસ પોલીસ સ્ટેશનને આ ઘટના અંગેની માહિતી બપોરે આશરે 1:33 થી 1:34 વાગ્યે મળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓ, એનડીઆરએફ (NDRF), દિલ્હી પોલીસ, ડીડીએમએ (DDMA) અને કેટ્સ (CATS) એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોઈન્ટ સીપી નવી દિલ્હી રેન્જ, ડીસીપી સાઉથ-વેસ્ટ અને એડિશનલ ડીસીપી ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઓપરેશનની સીધી દેખરેખ રાખી રહ્યા છે.


દિલ્હી પોલીસે શરૂઆતી માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે સાઉથ-વેસ્ટ દિલ્હીના સત્ય નિકેતનમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. દિલ્હી પોલીસની સ્થાનિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ધરાશાયી થયેલી ઇમારત આશરે 40 થી 50 વર્ષ જૂની હતી. તેમાં બેઝમેન્ટ ઉપરાંત ઉપર પાંચ માળ આવેલા હતા અને સમગ્ર બિલ્ડિંગનો ઉપયોગ પેઇંગ ગેસ્ટ (PG) તરીકે કરવામાં આવતો હતો. આ વિસ્તાર દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસની નજીક હોવાથી અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહે છે. દુર્ઘટના સમયે બેઝમેન્ટમાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આખી બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બિલ્ડિંગ અગાઉ એક વર્ષ પહેલાં ખાલી પણ કરાવાઈ હતી, તેમ છતાં ઉપરના માળ પર ફરીથી વિદ્યાર્થીઓ રહેતા હોવાની વિગતો સામે આવી છે.