'સૌથી વધુ નફો બ્રાહ્મણો કમાય છે...', ટ્રમ્પના સલાહકારનો ભારતમાં જાતિવાદ ભડકાવવા પ્રયાસ

September 01, 2025

યુક્રેન અને રશિયા યુદ્ધને મોદીનું યુદ્ધ કહેનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ એડવાઇઝર પીટર નવારોએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તે હવે ભારતીયોમાં ભાગલા પાડોની નીતિ અપનાવી રહ્યા છે. નવારો ભારતના બ્રાહ્મણો પર નફાખોરીનો આરોપ મૂકતાં જાતિવાદ ભડકાવી રહ્યા છે, તેમણે કહ્યું કે, ભારતીય બ્રાહ્મણો ભારતીયોના ભોગે સૌથી વધુ નફો રળી રહ્યા છે. નવારોએ આ નિવેદન ભારત દ્વારા રશિયા પાસેથી ખરીદવામાં આવી રહેલા ક્રૂડના સંદર્ભમાં આપ્યું છે. તેમણે એક મીડિયા ઇન્ટરવ્યુમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકતાં કહ્યું હતું કે, હું ભારતીયોને સમજાવવા માગું છું કે, શું ચાલી રહ્યું છે. રશિયા પાસેથી ક્રૂડ ખરીદી બ્રાહ્મણો ભારતીયોના ભોગે વધુ નફો કમાઈ રહ્યા છે. પુતિન પાસેથી ક્રૂડ ખરીદવા બદલ માત્ર નવી દિલ્હીને જ સજા નથી મળી, ચીનને પણ મળી છે. ભારત પર વધારાનો ટેરિફ પુતિન પર અંકુશ લાદવા માટે લાદવામાં આવ્યો છે. ટ્રમ્પના ટ્રેડ એડવાઇઝર નવારોએ અગાઉ પણ ભારત વિરુદ્ધ અનેકવખત ઝેર ઓક્યું છે. ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીય પ્રોડક્ટ્સ પર લાદવામાં આવેલા કુલ 50 ટકા ટેરિફને યોગ્ય ગણાવતાં નવારોએ ભારતને અગાઉ ચીમકી આપી હતી કે, વડાપ્રધાન મોદીની પુતિન અને જિનપિંગ સાથેની નિકટતા વૈશ્વિક વ્યવસ્થાને અસ્થિર કરી રહી છે. ભારત ટેરિફનો મહારાજા છે. તે વિશ્વમાં સૌથી વધુ ટેરિફ વસૂલે છે. અમે ભારતમાં મોટાપાયે નિકાસ કરીએ છીએ, જેનું નુકસાન અમેરિકાના મજૂરો, કરદાતાઓ અને યુક્રેનના લોકોને થઈ રહ્યું છે. મોદી મહાન નેતા છે. મને સમજણ નથી પડી રહી કે, ભારત વિશ્વનું સૌથી મોટુ લોકતંત્ર છે, તો તે પુતિન અને જિનપિંગ સાથે કેમ હળીમળી રહ્યા છે. હાલ ચીનમાં ચાલી રહેલી શાંઘાઈ સહયોગ સંગઠન સંમેલનમાં ચીન, ભારત અને રશિયા એકજૂટ થતું નજરે ચડ્યું છે. જેનાથી ટ્રમ્પ સરકારમાં ખળભળાટ મચ્યો છે. નવારોએ આ ટિપ્પણી આ સંમેલન દરમિયાન કરી છે. ઉલ્લેખનીય છે, ભારત પર 50 ટકા ટેરિફના મુખ્ય યોજનાકાર નવારો જ છે. પરંતુ ભારતે નમતું ન મૂકતાં નવારો સતત ભારતની વિરુદ્ધમાં ટિપ્પણી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અમેરિકામાં બ્રાહ્મણ શબ્દનો ઉપયોગ સમાજના ઉચ્ચ-ધનિક વર્ગના લોકો માટે થાય છે.