અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાઓને લોકોએ તગેડી મૂક્યા

April 17, 2026

અમદાવાદ- અસારવા વોર્ડની ઓમનગર અને કિસ્મત સોસાયટીમાં જ્યારે ભાજપનું ‘લશ્કર’ પ્રચાર માટે પહોંચ્યું, ત્યારે રહીશોનો પિત્તો ગયો હતો. છેલ્લા 6 મહિનાથી ગટરના ગંદા પાણીની સમસ્યાથી ઝઝૂમતી જનતાએ નેતાઓને સોસાયટીમાં ઘૂસવા જ ન દીધા. સ્થાનિકોનો આરોપ છે કે જ્યારે બાળકો ઝાડા-ઉલ્ટીના ખાટલે હતા અને બોર્ડની પરીક્ષાઓ ચાલતી હતી, ત્યારે કોઈ નેતા ડોકાયું નહોતું.
રહીશોએ રોષ ઠાલવતા કહ્યું કે, પૂર્વ કોર્પોરેટર અનુબેન પટેલે અગાઉ ફોન પર 'તમારા વોટની જરૂર નથી' તેવો અહંકાર બતાવ્યો હતો, તો હવે કયા મોઢે વોટ માંગવા આવ્યા છો? 'ભાજપ ભગાવો'ના નારા સામે કાર્યકર્તાઓએ 'ભારત માતા કી જય'ના નારા લગાવી બચાવનો પ્રયાસ કર્યો હતો, પણ લોકોની વેદના આગળ નેતાઓનું જોર ચાલ્યું નહીં. બીજી તરફ વાસણા વિસ્તારમાં પણ ભાજપના ઉમેદવાર મેહુલ શાહને લોકોએ ઘેરી લીધા હતા. વર્ષોથી ડ્રેનેજ અને પાણીની સુવિધા માટે વલખા મારતા લોકોએ જ્યારે સવાલો પૂછ્યા, ત્યારે નેતાએ નમ્રતા દાખવવાને બદલે પાવર બતાવતા કહ્યું કે, "તુ પહેલા ધીરે બોલ મને સંભળાય છે, શાંતિથી વાત કર." નેતાનો આવો મિજાજ જોઈ લોકો વધુ ભડક્યા હતા અને નેતાની બોલતી બંધ કરી દીધી હતી. જ્યારે લોકોએ વીડિયો ઉતારવાનું શરૂ કર્યું ત્યારે નેતાજી 'વીડિયો ન ઉતારીશ' કહીને બચતા જોવા મળ્યા હતા.