અમેરિકા સાથે ટેરિફ વોર વચ્ચે રશિયાની ભારતને વધુ એક ભેટ, વિદેશ જવા માંગતા યુવાનોને લાભ

August 26, 2025

અમેરિકાના ટેરિફ સામે ભારત માટે રશિયા એક ઢાલ બનીને ઊભરી રહ્યું છે. રશિયા, યુક્રેન સાથેના યુદ્ધને કારણે મજૂરોની ભારે અછતનો સામનો કરી રહ્યું છે. આ સમસ્યા દૂર કરવા માટે તે હવે ભારત જેવા એશિયન દેશોમાંથી શ્રમિકોને બોલાવી રહ્યું છે. જેના કારણે મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં ભારતીય યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી થઈ છે.  રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે તાજેતરમાં રશિયન સમાચાર એજન્સી TASSને જણાવ્યું કે, 'રશિયન કંપનીઓ ખાસ કરીને મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ભારતીય શ્રમિકોને નોકરી આપવા માટે ખૂબ રસ દાખવી રહી છે. બીજી તરફ, ભારતમાં મોટી સંખ્યામાં યુવાનોને સારી નોકરીની જરૂર છે, પરંતુ તેમને યોગ્ય તકો મળતી નથી. આવી સ્થિતિમાં, રશિયામાં રોજગારના નવા દરવાજા ખુલવાથી ભારતીય પરિવારોને લાભ થશે.  ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF)ના આંકડા મુજબ, 2021થી 2024 દરમિયાન રશિયામાં ભારતીય કામદારોને મળેલા વર્ક પરમિટની સંખ્યામાં મોટો વધારો થયો છે, જે 5,480થી વધીને 36,208 થઈ ગયો છે. આનાથી રશિયામાં શ્રમિકોની જરૂરિયાત અને ભારતીય કામદારોની માંગ સ્પષ્ટ થાય છે. રશિયામાં ભારતીય કામદારો મુખ્યત્વે બાંધકામ અને કાપડ ઉદ્યોગમાં કામ કરે છે, પરંતુ હવે મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ઉચ્ચ-કુશળ ક્ષેત્રોમાં પણ તેમની માંગ વધી રહી છે. રશિયાને કુશળ શ્રમિકોની જરૂર છે અને ભારત પાસે તે ઉપલબ્ધ છે. રશિયાના નિયમો અને ક્વોટા હેઠળ ભારતીયોને ત્યાં નોકરીઓ મળી રહી છે. જોકે, ભારતીય શ્રમિકોની વધતી સંખ્યાને કારણે દૂતાવાસો પર પાસપોર્ટ રિન્યુઅલ અને અન્ય સેવાઓનું દબાણ વધ્યું છે. આ સમસ્યાને ઉકેલવા માટે, ભારતે રશિયામાં નવા વાણિજ્ય દૂતાવાસો ખોલવાની યોજના બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની મુલાકાત દરમિયાન યેકાતેરિનબર્ગ અને કઝાનમાં નવા દૂતાવાસો ખોલવાની જાહેરાત કરી હતી, જેથી મુસાફરી અને વેપારને સરળ બનાવી શકાય. યુક્રેન સાથેના યુદ્ધને કારણે રશિયામાં કામદારોની ભારે અછત સર્જાઈ છે. યુદ્ધ માટે સૈનિકોની મોટી ભરતી અને રશિયન નાગરિકોના દેશ છોડી જવાથી આ સમસ્યા વધુ ગંભીર બની છે. આ સમસ્યાને ઉકેલવા માટે, રશિયાએ 2024માં સરકારી ક્વોટા કરતાં પણ વધુ એટલે કે 47,000 વિદેશી કામદારોની ભરતી કરી. આ કામદારોમાં ચીન, ભારત, તૂર્કિયે અને સર્બિયા જેવા દેશોના લોકોનો સમાવેશ થાય છે. રશિયાએ 2025 માટે ભારતીય કામદારો માટે 71,817 વર્ક પરમિટનો ક્વોટા નક્કી કર્યો છે.