પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ

June 05, 2026

કલકત્તા ઃ પશ્ચિમ બંગાળમાં નવી સરકાર બન્યા બાદ અને સરકારની નીતિઓને કારણે બાંગ્લાદેશથી આવેલા પ્રવાસીઓ હવે સરહદ તરફ પરત ફરી રહ્યા છે. સરહદ પર આટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ જોઈને બાંગ્લાદેશ અકળાયું છે. બાંગ્લાદેશે હવે ભારત પર ગંભીર આરોપ લગાવ્યો છે કે ભારત ગેરકાયદેસર પ્રવાસીઓને જબરદસ્તીથી બાંગ્લાદેશની સરહદમાં ધકેલી રહ્યું છે. આ વિવાદને કારણે બંને દેશો વચ્ચે ફરી એકવાર ગંભીર રાજદ્વારી અને સૈન્ય તણાવ પેદા થયો છે.


બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ(BGB)નો દાવો છે કે ભારતીય સુરક્ષા દળોએ છેલ્લા 24 કલાકમાં ઘણી વખત ગેરકાયદેસર પ્રવાસીઓને જબરદસ્તીથી સરહદ પાર કરાવવાની કોશિશ કરી છે. બાંગ્લાદેશી સેનાના જણાવ્યા પ્રમાણે, સરહદના અલગ-અલગ વિસ્તારોમાંથી લોકોને ગેરકાયદેસર રીતે ઘુસાડવાના ભારતીય અધિકારીઓના ઓછામાં ઓછા 10 પ્રયાસો તેમણે નિષ્ફળ બનાવ્યા છે. બાંગ્લાદેશના આ ગંભીર આક્ષેપોને કારણે છેલ્લા થોડા મહિનાઓથી બંને દેશો વચ્ચે સંબંધો સુધારવા માટે થઈ રહેલા રાજદ્વારી પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે.


ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4000 કિલોમીટરથી પણ લાંબી આંતરરાષ્ટ્રીય જમીની સરહદ છે, જે દુનિયાની સૌથી લાંબી સરહદોમાંની એક છે. આ સરહદ નદીઓ, પર્વતો અને ગીચ જંગલો જેવા અત્યંત મુશ્કેલ ભૌગોલિક વિસ્તારોમાંથી પસાર થાય છે. આ જ કારણે આખી બોર્ડર પર ચોક્કસ ઘેરાબંધી કરવી કે ચોવીસે કલાક કડક દેખરેખ રાખવી એ બંને દેશોના સુરક્ષા દળો માટે હંમેશાં એક મોટો પડકાર રહ્યો છે.


બાંગ્લાદેશી બોર્ડર ગાર્ડના આરોપો પર અત્યાર સુધી નવી દિલ્હી તરફથી કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી. ભારતના બોર્ડર સિક્યુરિટી ફોર્સ(BSF) અને વિદેશ મંત્રાલયે આ મામલે પૂછવામાં આવેલા પ્રશ્નો પર તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી. જોકે, ભારતના સરહદી રાજ્યો જેવા કે ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને અસમમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવાસીઓ અને ઘૂસણખોરીની સમસ્યાને પોતાની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાં સામેલ કરતી આવી છે.