પવિત્ર અમરનાથ ગુફાથી શિવલિંગની તસ્વીર જાહેર,1 જૂલાઇથી શરૂ થશે યાત્રા

May 30, 2023

નવી દિલ્હી : અમરનાથ ધામ હિંદુઓના મુખ્ય તીર્થધામોમાંથી એક છે એવું માનવામાં આવે છે કે, બાબા બર્ફાની એટલે કે, અમરનાથના પવિત્ર શિવલિંગના દર્શનથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. દર વર્ષે લાખો ભક્તો અહીં ગુફામાં સ્થિત બાબા બર્ફાનીના દર્શન કરવા પહોંચે છે. જોકે, અમરનાથ યાત્રા શરૂ થવામાં હજુ એક મહિનો બાકી છે, પરંતુ યાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં પવિત્ર અમરનાથ ગુફામાંથી શિવલિંગની તસવીરો જાહેર કરવામાં આવી છે. આ તસવીરોમાં ગુફા પરનું પ્રાકૃતિક હિમલિંગ સંપૂર્ણ કદમાં બની ગયુ છે.

જાહેર કરાયેલી તસવીરોમાં પવિત્ર શિવલિંગની સાથે માતા પાર્વતી અને ગણેશના પ્રતિક ગણાતા હિમસ્તિમ્બને પણ પૂર્ણ કદમાં જોઈ શકાય છે.

અમરનાથ યાત્રા સત્તાવાર રીતે શરૂ થવામાં એક મહિનો બાકી છે અને અધિકારીઓ અને સુરક્ષા દળના જવાનો ગુફામાં પહોંચી ગયા છે.

અમરનાથ યાત્રાનો રૂટ તૈયાર કરવાની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. શ્રાઈન બોર્ડ અને સુરક્ષા દળના અધિકારીઓ વ્યવસ્થા માટે ગુફામાં પહોંચી ગયા છે.


યાત્રાના માર્ગ પરનો બરફ સાફ કરવાનું કામ પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે. બરફ કાપીને ટ્રેકને મુસાફરો માટે યોગ્ય બનાવવામાં આવી રહ્યો છે. આર્મીની બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન અહીંના બંને માર્ગો (બાલતાલ અને ચંદનવાડી) પર કામ કરી રહી છે.

આ વખતે ટ્રેક પર અનેક ગણો બરફ પડ્યો છે અને હજુ પણ સમગ્ર રૂટ પર દસથી વીસ ફૂટ બરફ જમા થયો છે. આ વર્ષની અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ રહી છે અને રક્ષાબંધનના દિવસે 29 ઓગસ્ટે સમાપ્ત થશે.

સરકારે 10 એપ્રિલે અમરનાથ યાત્રાનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. આ યાત્રા 62 દિવસ સુધી ચાલશે. 17 એપ્રિલથી ઓફલાઈન અને ઓનલાઈન મોડ દ્વારા યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.

સરકારે 10 એપ્રિલે અમરનાથ યાત્રાનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. આ યાત્રા 62 દિવસ સુધી ચાલશે. 17 એપ્રિલથી ઓફલાઈન અને ઓનલાઈન મોડ દ્વારા યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.