સુરતમાં ફ્રેન્ડશીપ ડેના દિવસે બે મિત્રો વિખૂટા પડ્યા, ઝેરી દવા પીને નદીમાં લગાવી છલાંગ, એકનું મોત

August 03, 2025

સુરત : સુરતના ડીંડોલીમાં રહેતા કૌસ્તુભ અને સમીર નામના બે મિત્રોએ અડાજણ પાટીયાના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી  ફ્રેન્ડશિપ ડેના બે દિવસ પહેલાં (શુક્રવારે) છલાંગ મારી હતી. જોકે, બંને નદી કિનારે જમીન પર પટકાતા જીવ બચી ગયો હતો પણ ઇજા થતા નવી સિવિલમાં ખસેડ્યા હતા. જ્યાં આજે (3 ઓગસ્ટે), ફ્રેન્ડશિપ ડેના દિવસે જ કૌસ્તુભનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે બીજા મિત્ર સમીરની હાલ સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ 24 વર્ષીય કૌસ્તુભ છેલ્લા ઘણા સમયથી કામ-ધંધો યોગ્ય રીતે ન ચાલવાને કારણે તણાવમાં હતો. જ્યારે તેનો મિત્ર 18 વર્ષીય સમીર ધોરણ 10માં નાપાસ થયો હતો અને ફરીથી પરીક્ષા આપવાનો હોવાથી તે પણ તણાવ અનુભવી રહ્યો હતો. આ બંને મિત્રોએ શુક્રવારે સાંજે રાંદેર ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર પહોંચી પહેલા ઝેરી દવા પીધી અને પછી તાપી નદીમાં છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.


કૌસ્તુભ પરિવારનો એકમાત્ર દીકરો હતો. તેના અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જે દિવસે મિત્રતાની ઉજવણી કરવામાં આવે છે, તે જ દિવસે આ મિત્રોની જોડી કાયમ માટે તૂટી ગઈ. કૌસ્તુભના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. હાલ પોલીસ આ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે.