મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ? હિઝબુલ્લાહે યુદ્ધવિરામની શરતો ફગાવી, ઈઝરાયલના હુમલામાં 4ના મોત

June 05, 2026

નવા સીઝફાયર પ્રસ્તાવને હિઝબુલ્લાહે 'અપમાનજનક' ગણાવ્યો

લેબેનૉન- મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના વૈશ્વિક પ્રયાસોને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. લેબેનૉનમાં ઈઝરાયલના તાજેતરના હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા બાદ હિઝબુલ્લાહે ઈઝરાયલ અને લેબેનૉન સરકાર વચ્ચેના નવા સીઝફાયર પ્રસ્તાવને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. બંને પક્ષો વચ્ચે ફરી શરૂ થયેલી ભીષણ લડાઈના કારણે આ વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. હિઝબુલ્લાહના પ્રમુખ નઈમ કાસિમે ટીવી પર નિવેદન આપીને નવા સીઝફાયર પ્રસ્તાવને નકામો અને અપમાનજનક ગણાવી ફગાવી દીધો છે. આ પ્રસ્તાવમાં દક્ષિણ લેબેનૉનમાંથી હિઝબુલ્લાહના લડવૈયાઓને હટાવવાની વાત હતી, જેને નઈમ કાસિમે દુશ્મન સામે હાર માની લેવા સમાન ગણાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની મુખ્ય શરતો ઈઝરાયલના હુમલા રોકવાની, યુદ્ધવિરામ લાગુ કરવાની અને લેબેનૉનમાંથી ઈઝરાયલની સેનાને સંપૂર્ણપણે બહાર કાઢવાની છે. કાસિમે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમના ગામો સુરક્ષિત નહીં થાય અને સામાન્ય લોકોના મોત થતા રહેશે, ત્યાં સુધી ઉત્તરી ઈઝરાયલ પણ ક્યારેય શાંતિથી જીવી શકશે નહીં.


સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈઝરાયલના હુમલામાં ચાર સામાન્ય નાગરિકો માર્યા ગયા છે. આ સાથે જ બંને તરફથી થયેલા ગોળીબારમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) શાંતિ મિશનના એક જવાન અને ઈઝરાયલના એક સૈનિકનું પણ મોત થયું છે. હિઝબુલ્લાહના પ્રમુખના નિવેદન પછી તરત જ ઉત્તરી ઈઝરાયલના સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલાની ચેતવણી આપતા સાયરન વાગવા લાગ્યા હતા. આ સાયરન બરાબર એ જ સમયે વાગ્યા જ્યારે ઈઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહૂ સરહદ પર આવેલા શ્લોમી નગરમાં પોતાના મંત્રીઓ સાથે એક બેઠક કરી રહ્યા હતા. જોકે, પીએમ કાર્યાલયના જણાવ્યા પ્રમાણે નેતન્યાહૂ સાયરન વાગવાની થોડી ક્ષણો પહેલાં જ ત્યાંથી નીકળી ગયા હોવાથી સુરક્ષિત બચી ગયા હતા.