કાવેરી નદીને લઈને કર્ણાટકમાં હંગામો, 140 વર્ષ બાદ પણ 'દક્ષિણી ગંગા'ના જળનો વિવાદ કેમ છે વણઉકેલાયેલો ?

October 04, 2023

કર્ણાટકમાં કાવેરી જળ વિવાદ ફરી શરુ થયો છે. જેમાં તમિલનાડુમાં કાવેરી નદીનું પાણી આપવા બાબતે સિદ્ધારમૈયા સરકારના વિરોધમાં કન્નડ કાર્યકર્તાઓ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો. શુક્રવારે કર્ણાટક બંધ બાદ સિદ્ધારમૈયા સરકારે સુપ્રીમ કોર્ટમાં આ બાબતે રીવ્યુ પીટીશન ફાઈલ કરવાની વાત કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે ઓથોરીટી દ્વારા જે પાણી આપવા બાબતે આદેશ આપ્યા હતા તે અંગે સુપ્રીમકોર્ટમાં ફરી રીવ્યુ પીટીશન ફાઈલ કરવામાં આવશે. સામે કર્ણાટક સરકારનું કહેવું છે કે કર્ણાટકમાં પહેલાથી જ પાણીની ખુબ અછત છે એવી સ્થિતિમાં કાવેરી વોટર ઓથોરીટીએ તમિલનાડુમાં જરૂરિયાત કરતાં વધારે પાણી આપવાનો નિર્ણય કઈ રીતે લઇ શકે? જયારે  બીજેપી અને જેડીએસ સરકારનું કહેવું છે કે ઇન્ડિયા ગઠબંધન બચાવવા માટે કન્નડ લોકોના હકની સરકારે કુરબાની આપી છે. તમિલનાડુમાં ડીએમકે સત્તા પર છે, જે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે. કાવેરી જળ વિવાદ 140 વર્ષથી ચાલે છે. 1990માં આ વિવાદને શાંત કરવા માટે કાવેરી વોટર ઓથોરીટીની રચના કરવામાં આવી હતી. પરંતુ તે આ વિવાદને સંપૂર્ણ રીતે શાંત કરવામાં નિષ્ફળ રહ્યું. તો હવે જાણીએ વિસ્તારથી કે કાવેરી જળ વિવાદ શા માટે આટલા વર્ષોથી વણઉકેલાયેલો છે?
કાવેરી નદી પશ્ચિમઘાટના બ્રહ્મગિરી પર્વતથી નીકળીને કર્ણાટક, તમિલનાડુ, કેરલ અને પુડુચેરી એમ ચાર રાજ્યો માંથી પસાર થઇને બંગાળની ખાડીમાં સમાઈ જાય છે. નદીની લંબાઈ 760 કિમી છે. તેમજ સિમસા, હેમાવતી અને ભવાની જેવી નાની નદીઓ કાવેરીમાં ભળે છે. હિન્દુ ધાર્મિક માન્યતા મુજબની 7 સૌથી પવિત્ર નદીઓમાં કાવેરી પણ સામેલ છે. આથી તેને દક્ષિણની ગંગા કહેવાય છે. તમિલનાડુએ કર્ણાટક પાસે હાલમાં જ રોજ 24 કયુસેક પાણી છોડવાની માંગ કરી છે. જેને કર્ણાટકે નકારી હતી. આથી તમિલનાડુ રાજ્ય દ્વારા કાવેરી જળ વ્યવસ્થાપન બોર્ડમાં એક અપીલ દાખલ કરવામાં આવી. જેની સુનાવણી બાદ બોર્ડેએ કર્ણાટકને 15 દિવસ માટે રોજ 5 હજાર ક્યુઝેક પાણી તામિલનાડુને આપવાનો આદેશ આપ્યો. આ આદેશ બાદ કર્નાટક સરકાર સુપ્રીમકોર્ટમાં પહોચી, પરંતુ 21 સપ્ટેમ્બરે સુપ્રીમકોર્ટે પણ આ બાબત સાંભળવાથી ઇનકાર કર્યો તેમજ તમિલનાડુની રોજ 7200 ક્યુઝેક પાણી છોડવાની બાબત પણ માન્ય ન રાખી.  19મી સદીમાં મૈસુર પ્રાંત દ્વારા કાવેરી નદી પર ડેમ બાંધીને પાણી રોકવાની યોજના બનાવવામાં આવી હતી. જેનો વિરોધ મદ્રાસ પ્રેસિડેન્સી દ્વારા કરવામાં આવ્યો હતો. 1892 માં બંને પ્રાંત વચ્ચે પહેલીવાર સમજુતી થઇ હતી. ત્યારબાદ વધુ એક સમજુતી 1924માં કરવામાં આવી હતી. જો કે હાલ કર્ણાટકમાં કાવેરી અને તેની ઉપનદીઓ પર ઓછામાં ઓછા 4 ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં કૃષ્ણા સાગર ડેમ મુખ્ય છે. તામિલનાડુનો આરોપ છે કે કર્ણાટકે ડેમ અને જળાશયો બાંધીને પાણીનો પ્રવાહ સંપૂર્ણરીતે પોતાની તરફ કરી લીધો છે. ચોમાસા પછી કાવેરીના પાણીને તમિલનાડુ કે અન્ય રાજ્યમાં છોડવામાં આવતું નથી. જેના કારણે તમિલનાડુમાં કૃષિનું કામ અટકી પડે છે.