'હેરા ફેરી 3'માં પરેશ રાવલની ફરી થશે એન્ટ્રી? અક્ષય કુમારના રિએક્શનથી ચર્ચા છંછેડાઈ

June 18, 2025

અભિનેતા અક્ષય કુમાર પ્રચલિત કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'નો ત્રીજો ભાગ બનાવી રહ્યો છે પણ લોકપ્રિય કલાકાર પરેશ રાવલે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડતા ફિલ્મની ફ્રેન્ચાઇઝી અને ચાહકોને આઘાત લાગ્યો હતો. જોકે પછીથી આ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. જોકે ચાહકોની સાથે અક્ષયને હજી પણ આશા છે કે તે આ ફિલ્મમાં જરૂર દેખાશે. અક્ષયે એક ઈન્ટરવ્યૂમાં 'હેરા ફેરી 3'ને લઈને પહેલી વાર મૌન તોડ્યું. જ્યારે તેને ફિલ્મની હાલની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, અક્ષયે કહ્યું કે  "જે બધું થઈ રહ્યું છે, તે બધું બધાની સામે જ છે. આંગળીઓ ક્રોસ કરી રાખી છે, આશા છે કે બધું સારું થશે." અક્ષયે આગળ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, "બધું જ સારું થશે, મને પૂર્ણ વિશ્વાસ છે." નોંધનીય છે કે પરેશ રાવલે ફિલ્મ છોડ્યા પછી આ કેસ કોર્ટ સુધી પહોંચી ગયો હતો, જ્યારે અક્ષય કુમારની કંપની  Cape Of Good Cinema એ પરેશ રાવલ વિરુદ્ધ કેસ દાખલ કરી 25 કરોડનો દાવો માંડી દેતા વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો છે. બંને વચ્ચે અણબનાવની ચર્ચા થઈ રહી છે. જ્યાં એક તરફ ટ્વિટર પર યુઝર્સે પરેશ રાવલને હીરો ગણાવીને ફિલ્મમાં પાછા ફરવાની માગ કરી, ત્યાં પરેશે આટલું કહીને ના પાડી દીધી કે તેઓ હીરો નથી.