મહારાષ્ટ્રમાં NDA ગઠબંધન તૂટશે? સ્થાનિક એકમની ચૂંટણી માટે એકનાથ શિંદે ભાજપ સાથે સોદાબાજીના મૂડમાં

May 19, 2025

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનડીએ ગઠબંધન તૂટવાની અટકળો વહેતી થઈ છે. ભાજપથી નારાજ શિવસેના (એકનાથ શિંદે) આ ચૂંટણીમાં પોતાની શરતો પર ગઠબંધનમાં ચૂંટણી લડવા માગી રહી હોવાનું શિવસેનાના નેતાઓએ જણાવ્યું છે. એકબાજુ શિવસેના સાંસદ નરેશ મ્હસ્કેએ દાવો કર્યો છે કે, જો સહયોગી પક્ષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અલગ થવાનો નિર્ણય લે છે, તો શિવસેના એકલા હાથે નવી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી લડશે, બીજી બાજુ શિવસેના પોતાની શરતોના આધારે ભાજપ સાથે મળી આ ચૂંટણી લડવાની ઈચ્છા પણ ધરાવે છે. શિવસેનાના નેતાઓનું કહેવું છે કે, ભાજપે માત્ર પોતાનો જ ફાયદો ન જોવો જોઈએ. તેણે સાથી પક્ષોને પણ લાભ આપવા માટે વિચારવુ જોઈએ. પક્ષ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરવા તૈયાર છે. પરંતુ તેના માટે તેણે થાણે અને કલ્યાણ-ડોંબિવલીની ચૂંટણીમાં શિવસેનાને સાથ આપવો પડશે. શિવસેનાના નેતાએ જણાવ્યું કે, મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઉદ્ધવ સેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બંનેનો સામનો કરવાનો છે. એવામાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડવા માગતી નથી. શિવસેનાના સહકારથી ભાજપના મતદારોમાં વધારો થશે. અને ઉદ્ધવ સેના અને મનસેના મતમાં ફાટ પડશે. જો તે શિવસેનાથી અલગ થઈને ચૂંટણી લડશે તો તેના મતમાં ફાટ પડશે. કલ્યાણ-ડોંબિવલી અને થાણેમાં પક્ષને ભાજપની જરૂર છે. આગળ શિવસેનાના નેતાએ કહ્યું કે, મુંબઈમાં ભાજપ સત્તા મેળવવા માગે છે. શિવસેના આ કામ કલ્યાણ-ડોંબિવલી અને થાણેમાં કરવા માગે છે. જે શિવસેનાનું ગઢ ગણાય છે. ભાજપ અહીં પણ પોતાનું વર્ચસ્વ જમાવવા માગે છે. એકનાથ શિંદે આશરે 45 કાઉન્સિલર્સના સંપર્કમાં છે. જો ભાજપ થાણે અને કલ્યાણ-ડોંબિવલીમાં ગઠબંધન નહીં કરે તો તેનું નુકસાન તેને મુંબઈમાં ભોગવવુ પડશે.