ગુજરાતમાં ડેમમાંથી પાણી છોડાતાં પાંચ જિલ્લામાં 1.70 લાખ લોકો અસરગ્રસ્ત

September 19, 2023

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાના કારણે ગુજરાતના પાંચ જિલ્લાઓ ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પુર જેવી સ્થિતિ ઊભી થઈ છે. 17મી સપ્ટેમ્બરના સાંજના છ વાગ્યા સુધીની સ્થિતિએ 24 કલાકના ગાળામાં રાજ્યના પાંચ જિલ્લાઓમાં 1.70 લાખ જેટલા લોકો કોઈને કોઈ રીતે અસરગ્રસ્ત થયા છે, જેમાં 100 જેટલા ગામડાંઓ સામેલ છે. આ અરસામાં ત્રણ જેટલા મકાનોને પણ નુકસાન થયું છે.

બીજી તરફ વાવાઝોડા, પુર સહિતની વરસાદી આફતના કારણે આ સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં 173 લોકોનાં મોત થયાં હોવાનું સરકારી સૂત્રો કહે છે. સરકારી સૂત્રોના કહેવા પ્રમાણે, ગુજરાતમાં વરસાદ સહિતની આફતમાં 15 જિલ્લાઓમાં 173 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે, ભારે વરસાદમાં પુરના કારણે ડૂબી જવા કે તણાઈ જવાથી અત્યાર સુધીમાં 65 લોકોનાં મોત થયા છે જ્યારે વિવિધ કારણસર 64 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, વીજળી પડવાના કારણે 44 જેટલા લોકોનાં મોત થયા છે અને 234 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે.

રાજ્યમાં આ સિઝનમાં કુદરતી આફતમાં 460થી વધુ મકાનો સંપૂર્ણ નુકસાનગ્રસ્ત જ્યારે 20,914 મકાનોને આંશિક નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત 4707 પશુઓનાં મોત આ સિઝનમાં નોંધાયા છે. ગુજરાતમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં 1.17 લાખથી વધુ ઈલેક્ટ્રિક પોલ કે પિલ્લર નુકસાનગ્રસ્ત થયા હતા, નુકસાનગ્રસ્ત મોટા ભાગના પોલ વખતો વખત કાર્યરત્ કરી દેવાયા હતા.