ઈઝરાયલના ભીષણ હુમલામાં લેબેનૉનમાં 18ના મોત, અમેરિકા-ઈરાન શાંતિ કરાર પર બે જ દિવસમાં સંકટ!

June 19, 2026

બેરૃત: અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા અને લેબેનૉનમાં કાયમી શાંતિ સ્થાપવા માટે એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર થયાના બરાબર એક દિવસ પછી લેબેનૉનમાં ફરી એકવાર ભીષણ હુમલાઓ થયા છે. દક્ષિણ લેબેનૉનમાં ઈઝરાયલ દ્વારા રાતોરાત કરવામાં આવેલા શ્રેણીબદ્ધ એરસ્ટ્રાઇકમાં આશરે 18 લોકોના મોત થયા છે અને 33થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, ઈઝરાયલી સેનાએ પણ સ્વીકાર્યું છે કે આ ઘર્ષણ દરમિયાન તેના 4 સૈનિકો માર્યા ગયા છે. આ હિંસક વળાંકે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ સમજૂતીના ભવિષ્ય સામે મોટા સવાલો ઊભા કરી દીધા છે.


ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે(IDF) જણાવ્યું હતું કે તેણે ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહ સાથે જોડાયેલા 80 લક્ષ્યો પર જોરદાર હુમલા કર્યા છે અને તેના 'ડઝનબંધ' લડવૈયાઓને ઠાર કર્યા છે. લેબેનૉનની સત્તાવાર ન્યૂઝ એજન્સીએ દક્ષિણ લેબેનૉનના નબાતીહ જિલ્લામાં થયેલા આ હુમલાને આ યુદ્ધના સૌથી ભીષણ હુમલાઓમાંથી એક ગણાવ્યો છે, જેમાં અનેક ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. આ તરફ, હિઝબુલ્લાહે પણ હથિયાર હેઠા મૂકવાનો ઇન્કાર કરી દીધો છે. હિઝબુલ્લાહે દાવો કર્યો છે કે તેમણે દક્ષિણ લેબેનૉનમાં ઈઝરાયલી સૈન્યની ટુકડીને ઘેરીને ગાઇડેડ મિસાઇલ વડે ત્રણ ટેન્કો નષ્ટ કરી દીધી છે અને રોકેટ તેમજ તોપમારો કરીને ઈઝરાયલી સૈનિકોને નિશાન બનાવ્યા છે. આ આખો વિવાદ એવા સમયે વકર્યો છે જ્યારે ગુરુવારે જ અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમ, પ્રતિબંધોમાં રાહત અને આગામી 60 દિવસમાં અંતિમ સમાધાન શોધવાની શરતો સાથે એક મહત્ત્વપૂર્ણ શાંતિ કરાર થયો હતો. આ ડીલ તમામ મોરચે યુદ્ધવિરામ અને લેબેનૉનની સાર્વભૌમત્વનું સન્માન કરવાની હાકલ કરે છે. જો કે, ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, 'અમે લેબેનૉનમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચવા માંગતા નથી.' ઈઝરાયલનું કહેવું છે કે, 'હિઝબુલ્લાહ સામેની અમારી લડાઈ એ ઈરાન સાથેના યુદ્ધથી તદ્દન અલગ છે અને જ્યાં સુધી આક્રમણ ચાલુ રહેશે ત્યાં સુધી હિઝબુલ્લાહે પણ હુમલા ચાલુ રાખવાની શપથ લીધી છે.'