જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબવાથી 3 બાળકના મોત

July 17, 2025

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામે આજે એક અત્યંત કરુણ ઘટના બની છે. ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના ત્રણ માસૂમ બાળકો ગામના તળાવમાં ન્હાવા પડ્યા હતા અને કમનસીબે પાણીમાં ડૂબી જવાથી તેમના મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી હાલમાં ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. 

પ્રાથમિક માહિતી અનુસાર, આ બાળકો આજે સવારે તળાવમાં ન્હાવા ગયા હતા. ન્હાતી વખતે અચાનક તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા. બાળકો ડૂબ્યા હોવાની જાણ થતાં આસપાસના લોકો અને તરવૈયાઓને ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે, કમનસીબે લાંબા સમયની શોધખોળ બાદ ત્રણેય બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક ભાવેશ ડાંગી (ઉ.વ.6), હિતેશ ડાંગી (ઉ.વ.8) અને નીતેષ માવી (ઉ.વ.7) ત્રણેય સગા ભાઇઓ હોવાનું જાણવા મળ્યું છે. 

હાલ ત્રણેયના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના ત્રણ બાળકોના અકાળે અવસાનથી શોકગ્રસ્ત પરિવાર પર આભ તૂટી પડ્યું છે.