Breaking News :

કતારના બરજાન ગેસ પ્લાન્ટમાં ગેસ ટર્મિનલ ફરી ચાલુ કરતી વખતે વિસ્ફોટ, 54 કર્મચારીઓ ઘાયલ, 18 લાપતા

June 22, 2026

કતારના રસ લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા બરજાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં ગેસ ટર્મિનલ ફરી શરૂ કરતી વખતે રવિવારે મોડી રાત્રે એક ભયાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટના કારણે પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. સરકારી કંપની કતાર એનર્જીએ પુષ્ટિ કરી છે કે આ ગંભીર અકસ્માતમાં 54 કર્મચારીઓ ઘાયલ થયા હતા, જ્યારે અન્ય 18 કર્મચારીઓ હજુ પણ લાપતા છે. દુનિયાના અગ્રણી કુદરતી ગેસ ઉત્પાદક દેશ કતારમાં બનેલી આ ઘટનાને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં મોટી ઉથલપાથલ થવાની આશંકા સેવાઈ રહી છે.

આ અકસ્માત પાછળનું મુખ્ય કારણ એ હતું કે, અગાઉ ઈરાને કરેલા બોમ્બમારા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેવાના કારણે કતાર અન્ય દેશોમાં ગેસની નિકાસ કરી શકતું ન હતું, જેથી તેમણે ગેસનું ઉત્પાદન બંધ કરવું પડ્યું હતું. જોકે, યુદ્ધ રોકવા માટે ચાલી રહેલી શાંતિ મંત્રણાના પગલે ઈરાને દરિયાઈ માર્ગ પરથી પ્રતિબંધ હળવો કર્યો હતો. આ તકનો લાભ લઈને કતારે પોતાનું નિકાસ ટર્મિનલ ફરી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કામગીરી શરૂ થાય તે જ સમયે આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી.

શરૂઆતમાં કતારના અધિકારીઓએ અકસ્માતમાં માત્ર થોડા જ લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી આપી હતી. જોકે, ઘટનાના થોડા કલાકો બાદ ત્યાંના ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ઈજાગ્રસ્તો અને લાપતા લોકોનો આંકડો ઘણો મોટો છે. હાલમાં ગુમ થયેલા કર્મચારીઓની શોધખોળ ચાલી રહી છે. આ ભયાનક વિસ્ફોટના કારણે પ્લાન્ટમાં કેટલું આર્થિક અને માળખાકીય નુકસાન થયું છે, તેનો સચોટ આંકડો હજુ સુધી સામે આવ્યો નથી.