તેજસ્વી યાદવાના કાફલાને નડ્યો અકસ્માત, ટ્રકે ટક્કર મારતા 3લોકોને ઇજા

June 07, 2025

બિહારના વૈશાલીથી પસાર થઇ રહેલા તેજસ્વી યાદના કાફલાને અકસ્માત થયો હતો, જેમાં 2 પોલીસકર્મી સહિત 3 લોકો ઘાયલ થયા છે. સમગ્ર મામલો હાઝીપુર મુઝ્ઝ્ફરપુર મુખ્ય રસ્તા પર ગોડીયા પુલ આવેલો છે. અહીં એક ટ્રકે તેજસ્વી યાદવના કાફલામાં રહેલા એસ્કોર્ટ વાહનને ટક્કર મારી હતી. જેના કારણે એસ્કોર્ટમાં રહેલા પોલીસકર્મીઓ અને ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટર દ્વારા તમામ ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે.

જણાવવામાં આવ્યું હતું કે તેજસ્વી યાદવ મધેપુરામાં કાર્યક્રમમાં હાજરી આપીને પટના પરત ફરી રહ્યા હતા. વૈશાલી જિલ્લાના ગોરૌલ પોલીસ સ્ટેશનથી થોડે આગળ જતા તેજસ્વી યાદવ એક ચાની દુકાન પર રોકાઈને ચા પી રહ્યા હતા, ત્યારે એક ઝડપી બેકાબૂ ટ્રકે પોલીસ વાહનને ટક્કર મારી હતી. જેમાં વૈશાલી જિલ્લા દળના પોલીસ કર્મચારીઓ અને એસ્કોર્ટમાં તેજસ્વી યાદવ સાથે રહેલા પોલીસકર્મીને ગંભીર ઇજાઓ થઈ હતી. માહિતી મળતાં જ તેજસ્વી યાદવ પોતે હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલ ડ્રાઇવર અને પોલીસકર્મીની હાલત પૂછી.

ટક્કર પછી જોરદાર અવાજ આવ્યો. મળતી માહિતી મુજબ, બંને પોલીસકર્મીઓની હાલત ગંભીર છે. રામનાથ યાદવ, લાલન કુમાર અને ધરવીર કુમાર ઘાયલ થયા છે. પોલીસે ટ્રક જપ્ત કરી લીધી છે અને ડ્રાઇવરની ધરપકડ કરી છે. તેજસ્વી યાદવે સદર હોસ્પિટલમાં જણાવ્યું હતું કે અમે સવારે 10 વાગ્યે નીકળ્યા હતા અને મધેપુરા ગયા હતા. કાર્યક્રમ પછી અમે પાછા ફરી રહ્યા હતા. અમે ચા માટે રોકાયા હતા. જ્યાં અમે ચા માટે રોકાયા હતા ત્યાં એક ટ્રકે સંતુલન ગુમાવ્યું અને બે-ત્રણ વાહનોને ટક્કર મારી. જેમાં અમારા સુરક્ષા કર્મચારીઓ અને ડ્રાઇવરને ઇજા પહોંચી છે. બે-ત્રણ લોકો ઘાયલ થયા છે. અમે 5 ફૂટના અંતરે હતા. જો વાહન નિયંત્રિત ન થયું હોત તો અમે પણ ભોગ બન્યા હોત. અમે તાત્કાલિક વહીવટીતંત્રને ફોન કર્યો.