રાજપીપળામાં પોલીસ-AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, કોર્ટમાં જતા રોકવાનો આક્ષેપ

July 06, 2025

રાજપીપળા : દેડિયાપાડા લાફા કાંડ કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ આજે તેમને રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવતા જ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોર્ટ પરિસર બહાર પોલીસ અને AAPના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. પોલીસે AAPના નેતા ગોપાલ ઇટાલિયા, કાર્યકરો અને મીડિયાને કોર્ટમાં જતા રોકતા મામલો બિચક્યો હતો.
આ ઘટના અંગે AAPના કાર્યકરો અને ગોપાલ ઇટાલિયાએ પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, "પોલીસ કાયદાનું માને કે ભાજપનું? કોર્ટ પ્રજાની છે, ભાજપની નહીં" તેમણે ઉમેર્યું હતું કે, "અદાલતમાં કોઈ પણ માણસ જઈ શકે, ખુલ્લી અદાલત છે." પોલીસે કોર્ટનો ગેટ બંધ કરી લોકોને અને મીડિયાને અંદર જતા રોક્યા હતા, જેને લઈને પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની હતી.


ચોંકાવનારી વાત એ જોવા મળી કે ખાનગી કારમાં આવેલી પોલીસે ગોપાલ ઈટાલિયાએ કોર્ટમાં જતા રોક્યા. જેતી તેમણે અને કાર્યકરોએ પોલીસને સવાલ કર્યો કે, 'ઓપન કોર્ટમાં જતા રોકો છો, આ કેવી લોકશાહી?" તેમણે   પોલીસને તાકીદ કરી હતી કે, "લોકોને કોર્ટમાં જવા દો, ભાગવાનું નથી, ખોટે ખોટી ફોન પર વાતો ન કરો. કોર્ટમાં જવા કોને પૂછવું પડે, એવો કયો કાયદો છે? હાઈકોર્ટમાં જવા માટે પણ નથી પૂછવું પડતું. આતંકવાદી હોય એમ ગેટ બંધ કરી દીધો છે."