100 MLA લાવો અને CM બનો...', યોગીના વિદેશ પ્રવાસ વચ્ચે અખિલેશની ઓફર

February 22, 2026

લખનઉ : ઉત્તર પ્રદેશમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ધીમે-ધીમે ગરમાવા લાગ્યો છે. રવિવારે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મેરઠથી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા, તો બીજી તરફ સપા પ્રમુખ અખિલેશ યાદવે લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.


આ દરમિયાન તેમણે સીએમ યોગીની વિદેશ યાત્રા (સિંગાપોર અને જાપાન) પર કટાક્ષ કર્યો અને બંને ડેપ્યુટી સીએમનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "સીએમ તો બહાર જઈ રહ્યા છે, પાછળથી અમે ઓફર આપીએ છીએ કે 100 ધારાસભ્યો લઈને આવે અને યુપીના સીએમ બની જાય." આ ઓફર દોહરાવતા તેમણે કહ્યું કે, જે 100 ધારાસભ્યો લાવશે તે સીએમ બનશે. તેમણે આ ઓફરની વેલિડિટી પણ જણાવી કે આ ઓફર માત્ર એક અઠવાડિયા માટે છે.


અખિલેશ યાદવે અગાઉ પણ આવી ખુલ્લી ઓફર આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો કોઈ પોતાની સાથે 100 ધારાસભ્યો તોડીને લાવશે, તો વિપક્ષ તેને સીએમ બનાવવામાં પૂરો સહયોગ અને સમર્થન આપશે. તેમણે બંને ડેપ્યુટી સીએમ વિશે કહ્યું કે, સીએમ બનવાની ઈચ્છા બંનેની છે. જે પણ 100 ધારાસભ્યો લાવશે તે મુખ્યમંત્રી બનવાની તક મેળવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીએમ યોગી આદિત્યનાથ રવિવારે સાંજે સિંગાપોર અને જાપાનના ચાર દિવસીય પ્રવાસે રવાના થઈ રહ્યા છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય યુપીને ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો છે. યાત્રા દરમિયાન સીએમ યોગી વૈશ્વિક કંપનીઓને યુપીમાં રોકાણ માટે આમંત્રિત કરશે.