અરબ સાગરમાં જહાજમાં ભીષણ આગ, 'INS સુરત' મદદ માટે રવાના, રેસ્ક્યૂ ઓપરેશન શરૂV

June 09, 2025

કેરળના દરિયા કિનારાથી દૂર સોમવારે સવારે સિંગાપુરના ધ્વજવાળું કન્ટેનર  જહાજ MV Wan Hai 503માં જોરદાર વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે. મુંબઈ સ્થિત મરીન ઓપરેશન્સ સેન્ટર (MOC) દ્વારા સવારે 10:30 વાગ્યે કોચી સ્થિત તેના અન્ય કેન્દ્રને આ માહિતી આપવામાં આવી હતી. જહાજ 270 મીટર લાંબુ છે અને તેનો ડ્રાફ્ટ 12.5 મીટર હોવાનું કહેવામાં આવ્યું છે. આ જહાજ 7 જૂનના રોજ કોલંબોથી રવાના થયું હતું અને 10 જૂનને મુંબઈ પહોંચવાની આશા હતી. 

આ અંગે મળતી વધુ માહિતી પ્રમાણે વિસ્ફોટ જહાજના અંડરડેકમાં થયો હતો. અને જ્યારે ઘટના બની ત્યારે જહાજ કેરળના દરિયા કિનારા નજીક હતું. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તકેદારી વધારી દેવામાં આવી છે.

સંરક્ષણ પીઆરઓના જણાવ્યા પ્રમાણે, પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભારતીય નૌકાદળે તાત્કાલિક પ્રતિક્રિયા આપી અને કોચી સ્થિત INS Suratને ઘટના સ્થળ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું છે, જેથી કરીને તાત્કાલિક જહાજને જરુરી સહાય મળી શકે. આ નિર્ણય વેસ્ટર્ન નેવલ કમાન્ડ દ્વારા સવારે 11 વાગ્યે લેવામાં આવ્યો હતો.

આ સાથે જ નૌસેના દ્વારા કોચીમાં INS Garuda નેવલ એર સ્ટેશનથી ડોર્નિયર વિમાન ઉડાનની પણ યોજના બનાવી રહ્યું છે, જે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે અને જરૂરી સંકલન પૂરું પાડશે. ભારતીય નૌસેના અને દરિયાઈ એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. બચાવ અને રાહત કાર્ય માટે પ્રયાસો ચાલુ કરી દેવાયા છે.

આ દરમિયાન કેરળના મુખ્યમંત્રીએ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (KSDMA) ને એર્નાકુલમ અને કોઝિકોડના જિલ્લા કલેક્ટરોને જરૂરી તૈયારીઓ કરવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ ખાતરી કરવા કહ્યું છે કે, જો જહાજના ક્રૂ સભ્યોને કેરળના દરિયાકાંઠે લાવવામાં આવે છે, તો તેમને તાત્કાલિક તબીબી સુવિધાઓ પૂરી પાડી શકાય. KSDMA એ સ્થાનિક હોસ્પિટલો અને ઈમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.