અમદાવાદ પોલીસ કમિશ્રરનું જાહેરનામુંઃ જો IPLની આટલાથી વધુ ટિકિટ રાખી તો કાર્યવાહી થશે

May 26, 2023

IPLની ક્રિકેટ મેચની ટીકિટોની કાળા બજારી અટકાવવા પોલીસ એક્શનમાં 


અમદાવાદઃ શહેરમાં આજે આઈપીએલની મેચ રમાઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન વચ્ચે આજે મેચ રમાઈ રહી છે. ત્યારે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડીને ટીકિટોનું કાળા બજાર કરનારા લોકોને ચેતવણી આપી છે. પોલીસે મેચની ટીકિટોનું કાળા બજાર અટકાવવા માટે તૈયારી કરી લીધી છે. શહેરના પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડીને કોઈ પણ વ્યક્તિ આઈપીએલની ત્રણથી વધુ ટીકિટો રાખી નહીં શકે તેવો આદેશ કર્યો છે. 


પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે જો કોઈ વ્યક્તિ આઈપીએલની મેચની ટીકિટોનું કાળાબજાર કરતાં પકડાશે, નિયત કિંમત કરતાં વધુ દરે ટીકિટોનું વેચાણ કરશે અને પોલીસના હાથે પકડાશે તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસનું આ જાહેરનામું 28મી મે સુધી અમલમાં રહેશે. અમદાવાદમાં રમાયેલી આઈપીએલની મેચોની ટીકિટોના કાળા બજાર કરતાં લોકો પોલીસના હાથે ઝડપાયા છે. જેને લઈને પોલીસ એલર્ટ થઈ ગઈ છે. મેચની ફાઈનલની ટીકિટની માંગને લઈને કાળા બજારી વધુ વકરે નહીં તે માટે પોલીસ એક્શનમાં આવી છે.