અક્ષય કુમારે આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે

May 09, 2026

મુંબઇ : અક્ષય કુમારે હાલમાં આંખની સર્જરી કરાવી છે. તેને પગલે તે થોડા દિવસો સુધી  ફિલ્મ શૂટિંગમાંથી બ્રેક લઈ આરામ કરશે. અક્ષયે તા. છઠ્ઠી મેના સવારે આ સર્જરી કરાવી હતી. વિઝન  કરેક્શન માટે આ સર્જરી કરાવાઈ હોવાનુ ંકહેવાય છે. હજુ સર્જરીના આગલા દિવસે જ અક્ષય કુમારે અનીસ બઝમીની ફિલ્મ 'કેરલમ'નું શૂટિંગ શિડયૂલ પૂર્ણ થયાનું અપડેટ આપ્યું હતું. તેણે આ શૂટિંગ પૂર્ણ થાય તે પછી સર્જરી પ્લાન કરી હોવાનું મનાય છે. અક્ષય બોલિવુડમાં સૌથી શિસ્તબદ્ધ જીવનશૈલી ધરાવતો કલાકાર ગણાય છે. તે રાતે વહેલો ઊંઘી જાય છે અને પરોઢે વહેલો ઉઠી જાય છે. તે ક્યારેય ફાસ્ટ ફૂડ ખાતો નથી અને બોલિવુડની પાર્ટીઓમાં પણ જતો નથી. અક્ષયની આગામી ફિલ્મોમાં 'વેલકમ ટુ ધી જંગલ', 'હૈવાન' તથા 'ગોલમાલ ફાઈવ'નો સમાવેશ થાય છે.  હવે તે કેટલો જલ્દી  સેટ પર પાછો ફરે છે તેની રાહ જોવાય છે.