દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટે ભૂલથી ખોટા રનવે પર ઉતારી દીધું હતું વિમાન,

January 10, 2026

ગયા વર્ષે 23 નવેમ્બરે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના થતા રહી ગઈ હતી. અફઘાનિસ્તાનની એરિયાના અફઘાન એરલાઈન્સની ફ્લાઈટ AFG311 નિર્ધારિત રનવે 29Lને બદલે ભૂલથી રનવે 29R પર ઉતરી ગઈ હતી, જેનો ઉપયોગ તે સમયે ટેકઓફ માટે થઈ રહ્યો હતો. ચિંતાજનક વાત એ છે કે, તે જ સમયે તે જ રનવે પરથી અન્ય એક વિમાન, AIC2243, ટેકઓફ કરી રહ્યું હતું. વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો(AAIB)એ આ ઘટના અંગે પોતાનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો છે.

રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રનવે 29R પર કોઈ લેન્ડિંગ સહાયક પ્રણાલી સક્રિય નહોતી. ન તો ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ(ILS) ચાલુ હતી, ન પ્રિસિઝન એપ્રોચ પાથ ઈન્ડિકેટર(PAPI) કે એપ્રોચ લાઈટ્સ. તેમ છતાં, ખરાબ હવામાન અને ધુમ્મસને કારણે જ્યારે વિઝિબિલિટી માત્ર 1200 મીટર હતી, ત્યારે પાયલટ ભૂલથી ખોટા રનવે પર ઉતરી ગયા. ક્રૂ મેમ્બર્સે જણાવ્યું કે ટચડાઉનથી ચાર નોટિકલ માઈલ પહેલા ILS સિગ્નલ ગાયબ થઈ ગયો હતો. સમાંતર બનેલા બંને રનવેને અલગ-અલગ ઓળખવા મુશ્કેલ બની ગયા, જેના કારણે પાયલટ ભ્રમિત થઈ ગયા.