નેપાળમાં પોખરાથી કાઠમંડૂ જતી બસ ત્રિશુલી નદીમાં ખાબકી, 18 લોકોના મોત

February 23, 2026

પોખરાથી કાઠમંડૂ આવી રહેલી એક મુસાફર બસ ત્રિશુલી નદીમાં ખાબકી ગઈ. આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં 6 મહિલાઓ અને 12 પુરુષો સામેલ છે.આ દુર્ઘટનામાં કુલ 26 લોકોને હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં વિદેશી પ્રવાસીઓ પણ સામેલ હતા. મૃતકો અને ઘાયલોમાં એક ન્યુઝીલેન્ડના નાગરિકનો પણ સમાવેશ થાય છે. ઘટનાસ્થળેથી તમામ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે. કેટલાકની સારવાર સ્થાનિક હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે મોટાભાગના ઘાયલોને વધુ સારવાર માટે કાઠમંડૂ રિફર કરવામાં આવ્યા છે.

બસ રાત્રે લગભગ 1 વાગ્યે પૃથ્વી રાજમાર્ગ પરથી પોખરાથી કાઠમંડુ તરફ જઈ રહી હતી. બસ ધાદિંગના બેનીઘાટ રોરાંગ વિસ્તારમાં ત્રિશુલી નદીના કિનારે ખાબકી ગઈ. બસ રસ્તાથી અંદાજે 300 મીટર નીચે પટકાઈને ભારે નુકસાન પામેલી હાલતમાં મળી.

બસમાં કુલ 44 મુસાફરો સવાર હતા. મૃતકોમાં એક પુરુષ અને એક મહિલા વિદેશી નાગરિક પણ સામેલ છે, બંને ન્યૂઝીલેન્ડના હોવાનું જણાવાયું છે. પોલીસ મુજબ અકસ્માત સમયે બસમાં કુલ 44 લોકો હતા. ઘાયલ 26 મુસાફરોને બચાવી વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.