Breaking News :

રામમંદિરમાં અમલદારશાહીનો વિરોધ, સીઈઓની નિમણૂકના પ્રસ્તાવ સામે સંતોનો આક્રોશ

June 29, 2026

અયોધ્યાના રામમંદિરના વહીવટમાં ઉચ્ચ અધિકારીને સીઈઓ તરીકે નિયુક્ત કરવાની ચર્ચા વચ્ચે સંત સમાજે કડક વિરોધ નોંધાવ્યો છે. મંદિરના વહીવટમાં અમલદારશાહીની દખલ સ્વીકાર્ય નહીં હોવાનું જણાવતાં દેશભરમાંથી આવેલા સંતોએ ધ્વનિમતથી વિરોધનો ઠરાવ પસાર કર્યો છે. આ વિવાદ મંદિરની ચઢાવા ચોરીની ચર્ચા બાદ ટ્રસ્ટના પુનર્ગઠનના મુદ્દે વધુ ગરમાયો છે.

મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ વહીવટ વધુ સુદૃઢ બનાવવા માટે ઉચ્ચ અધિકારીને સીઈઓ તરીકે નિયુક્ત કરવાની તરફેણ કરી હતી. જોકે, મહંત નૃત્યગોપાલ દાસના જન્મોત્સવના સમાપન પ્રસંગે હાજર સંતોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. મુખ્ય વક્તા આચાર્ય મિથિલેશ નંદિની શરણે જણાવ્યું હતું કે અયોધ્યા સંતો અને શ્રદ્ધાળુઓની છે, તેથી રામમંદિરનો વહીવટ સરકારી અધિકારીઓના હાથમાં ન જવો જોઈએ. તેમણે ટ્રસ્ટનું પુનર્ગઠન કરવું હોય તો વિવિધ વર્ગોના પ્રતિનિધિઓને સ્થાન આપવાની વાત કરી, પરંતુ મંદિરને સત્તા કે કોર્પોરેટ માળખામાં ફેરવવાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાના રાજીનામાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. સંત સમાજે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ચંપત રાયે પોતાના રાજીનામાની સત્તાવાર જાહેરાત કેમ કરી નહીં અને સામાન્ય પ્રક્રિયા મુજબ ટ્રસ્ટના અધ્યક્ષને રાજીનામું આપવાને બદલે કોષાધ્યક્ષને કેમ સોંપવામાં આવ્યું. આ મુદ્દાઓને લઈને ચર્ચા તેજ બની છે અને હવે 11 જુલાઈએ યોજાનારી ટ્રસ્ટની બેઠક પર સૌની નજર છે.

આ દરમિયાન કરણી સેનાએ પણ આ સમગ્ર વિવાદમાં ઝંપલાવ્યું છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજ પાલ અમ્મુએ નૃપેન્દ્ર મિશ્રા પર આકરા આક્ષેપ કરતાં મંદિરના નિર્માણ દરમિયાન સામગ્રીની ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો મંદિરના વહીવટમાં કોઈ ગેરરીતિ થઈ હોય તો તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. સાથે જ ચંપત રાય, ડૉ. અનિલ મિશ્રા અને ગોપાલ રાવ સામે પણ તપાસની માંગ કરવામાં આવી છે.