ઈઝરાયલી હુમલામાં વધુ એક પરમાણુ વૈજ્ઞાનિકનું મોત

June 20, 2025

તેહરાન- ઈઝરાયલે આજે સવારે તેહરાનના ગિશા વિસ્તારમાં મિસાઈલ ઝીંકી છે, જેમાં પરમાણુ વૈજ્ઞાનિકનું મોત થતાં ઈરાન ભડક્યું છે. ઈઝરાયલી મીડિયાના રિપોર્ટ મુજબ, ઈઝરાયલી અધિકારીએ IDFએ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. ઈઝરાયલી અધિકારીએ કહ્યું કે, ‘ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધીત મોટા વૈજ્ઞાનિકોને ટાર્ગેટ કરવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં વૈજ્ઞાનિકનું મોત થુયં હોવાની પ્રાથમિક માહિતી મળી છે, પરંતુ ઈરાન સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશ્કિયને ઈઝરાયલી હુમલાને લઈ કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ‘ઈઝરાયલ કોઈપણ શરત વગર તાત્કાલીક હુમલો રોકે, તે જ શાંતિનો રસ્તો છે. જો ઈઝરાયલ હુમલા ચાલુ રાખશે તો અમે મજબૂરીથી જડબાતોડ જવાબ આપીશું. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જ્યાં સુધી ઈઝરાયલ હુમલા કરતું રહેશે, ત્યાં સુધી અમે અમેરિકા કે અન્ય કોઈ દેશ સાથે આ મુદ્દે કોઈ વાતચીત નહીં કરીએ. ઈરાને કહ્યું છે કે, આવી સ્થિતિમાં યુદ્ધ અટકાવવાની વાતચીત કરવી અસંભવ છે. ગુરુવારે (12મી જૂન) રાત્રે ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો જેના બાદ  ઇરાને પણ બદલો લીધો. ઈઝરાયલી સેનાએ ગુરુવારે (19મી જૂન) જણાવ્યું હતું કે, ઈરાને નાગરિકોને ભારે જાનહાનિ પહોંચાડવાના હેતુથી ક્લસ્ટર બોમ્બ લઈ જતી મિસાઇલ છોડી હતી. આ યુદ્ધમાં ક્લસ્ટર મિસાઇલોનો ઈરાન દ્વારા પહેલીવાર પ્રયોગ કરાયો હતો. ઈરાન દ્વારા ઝીંકાયેલી મિસાઇલમાં ઈઝરાયલના મધ્યમાં લગભગ 4 માઇલ (7 કિલોમીટર)ની ઊંચાઈએ વિસ્ફોટ થયો હતો, જેના કારણે તેની અંદર રહેલા લગભગ 20 ક્લસ્ટર બોમ્બ 5 માઇલ (8 કિલોમીટર)ની ત્રિજ્યામાં વિખેરાઈ ગયા હતા અને તબાહી મચાવી હતી.