'બ્રાહ્મણો મહિલાઓને બખ્શો, આટલા સંસ્કાર તો..' વિવાદિત નિવેદન બાદ અનુરાગ કશ્યપની નવી પોસ્ટ

April 19, 2025

એક્ટર પ્રતીક ગાંધી અને પત્રલેખાની ફિલ્મ 'ફૂલે' લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. સમાજ સુધારક દંપતી જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત આ ફિલ્મની રિલીઝ ટાળી દેવામાં આવી હતી. આ ફિલ્મ પર જાતિવાદ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અનુરાગ કશ્યપે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ અંગે સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન ઉર્ફે CBFC અંગે એક પોસ્ટ લખી હતી. હવે અનુરાગે ફરી એક વખત કન્ટ્રોવર્શિયલ નિવેદન આપીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ નફરત વ્યક્ત કરતું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પરંતુ હવે ડાયરેક્ટરે માફી માગીને સ્પષ્ટતા આપતા પોતાની વાત કહી છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને અનુરાગ કશ્યપે લખ્યું કે, 'મને તમારે જે બોલવું હોય એ બોલો પરંતુ મારા પરિવારને બખ્શી દો.' હું માફી માગુ છું. પરંતુ આ હું મારી પોસ્ટ માટે નહીં પરંતુ એ એક લાઈન માટે માફી માગી રહ્યો છું, જેને ખોટી રીતે લેવામાં આવી અને નફરત ફેલાવવામાં આવી. કોઈ પણ કાર્યવાહી અથવા સ્પીચ તમારી દીકરી, પરિવાર, મિત્રો અને પ્રિયજનો કરતાં મહત્વની નથી. તેને રેપની ધમકીઓ મળી રહી છે. મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. જે લોકો પોતાને સંસ્કારી કહે છે તે લોકો આ બધું કરી રહ્યા છે. તો જે કંઈ કહેવામાં આવ્યું છે તે પાછું લઈ શકાતું નથી અને હું તે પાછું લઈશ પણ નહીં, પરંતુ તમારે ગાળો આપવી હોય તો મને આપો. મારા પરિવારે કંઈ નથી કહ્યું અને તેઓ કંઈ કહેશે પણ નહીં. તો જો તમે મારી પાસેથી માફી માંગતા હોવ, તો આ મારી માફી છે. બ્રાહ્મણો મહિલાઓને બખ્શી દો, આટલા સંસ્કાર તો શાસ્ત્રોમાં પણ છે, માત્ર મનુવાદમાં જ નથી. તમે કયા પ્રકારના બ્રાહ્મણ છો તે નક્કી કરો. બાકી, મારા તરફથી માફી.
અનુરાગ કશ્યપે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર ફિલ્મના વિવાદ સાથે જોડાયેલા એક સમાચાર શેર કરતા લખ્યું કે, 'મારા જીવનનું પહેલું નાટક જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલે પર હતું. ભાઈ જો આ દેશમાં જાતિવાદ ન હોત તો તેમને લડવાની શું જરૂર હતી? હવે આ બ્રાહ્મણોને શરમ આવી રહી છે અથવા તો તેઓ શરમના માર્યા મરી રહ્યા છે અથવા તેઓ એક અલગ બ્રાહ્મણ ભારતમાં જીવી રહ્યા છે જે આપણે જોઈ નથી શકતા, મૂર્ખ કોણ છે એ કોઈ તો સમજાવો.