ભુજ: માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 45 વધુ બાળકોની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાયા

June 15, 2026

ભુજ : ભુજ નજીક આવેલા માધાપરના ઐશ્વર્યા નગર વિસ્તારમાં એક ધાર્મિક ઉત્સવ દરમિયાન મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં આયોજિત બટુક ભોજનમાં છાશ પીવાના કારણે 45થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ભોજન લીધાના થોડા જ સમયમાં બાળકોની તબિયત એકાએક બગડતાં તમામને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, માધાપરના ઐશ્વર્યા નગર સ્થિત એક મંદિરમાં અધિક માસની પૂર્ણાહુતિ નિમિત્તે ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો માટે સામૂહિક બાલ ભોજન રાખવામાં આવ્યું હતું, જેમાં આસપાસના વિસ્તારના 50થી વધુ બાળકો ઉત્સાહભેર પ્રસાદ લેવા એકઠા થયા હતા. જોકે, આ ભોજન દરમિયાન પીરસવામાં આવેલી છાશ બાળકો માટે હાનિકારક સાબિત થઈ હતી.

પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, છાશ બનાવવા માટે મોટી માત્રામાં દહીં બહારથી મંગાવવામાં આવ્યું હતું. ચાલુ ઉનાળાની અતિશય ગરમી અને ભેજયુક્ત વાતાવરણના કારણે આ દહીં લાંબો સમય ફ્રિજ વગર બહાર ખુલ્લું રહ્યું હોવાના લીધે અથવા તે પહેલેથી જ વાસી હોવાના કારણે બગડી ગયું હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ દહીંમાંથી બનેલી છાશ પીધાના થોડા જ સમયમાં બાળકોને પેટમાં સખત દુ:ખાવો, ચક્કર આવવા અને સામૂહિક ઉલ્ટી-ઝાડાની તકલીફ શરૂ થઈ ગઈ હતી. એકસાથે આટલી મોટી સંખ્યામાં માસૂમ બાળકોની સ્થિતિ બગડતાં જ આયોજકો અને વાલીઓમાં ભારે નાસભાગ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.