ફિક્સ્ડ-ટર્મ કર્મચારીઓ માટે મોટી રાહત, હવે માત્ર 1 વર્ષની નોકરી પર ગ્રેચ્યુઇટીનો લાભ મળશે

November 22, 2025

દેશના કરોડો કર્મચારીઓ માટે સરકારે શ્રમ કાયદામાં મોટો ફેરફાર કરીને ગ્રેચ્યુઇટીના નિયમો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. આ બદલાવની સૌથી મોટી અસર ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓ પર પડશે. તેમને હવે ગ્રેચ્યુઇટી મેળવવા માટે પાંચ વર્ષની લાંબી રાહ જોવી નહીં પડે. નવા નિયમ હેઠળ, ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓ માત્ર એક વર્ષની નોકરી પૂર્ણ કરવા પર પણ ગ્રેચ્યુઇટીનો સંપૂર્ણ લાભ મેળવવા માટે હકદાર બનશે.

સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય માત્ર કર્મચારીઓની આર્થિક સુરક્ષામાં જ વધારો નહીં કરે, પરંતુ તે કોન્ટ્રાક્ટ સિસ્ટમની જગ્યાએ કંપનીઓમાં ડાયરેક્ટ હાયરિંગ (સીધી ભરતી) ને પણ પ્રોત્સાહન આપશે. નવા લેબર કોડ મુજબ, ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓને કાયમી સ્ટાફની જેમ જ સમાન પગાર, રજાઓ, સામાજિક સુરક્ષા, મેડિકલ લાભો અને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે, જે સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત મજબૂત કરશે.

સરકારનો અંતિમ ઉદ્દેશ્ય દરેક શ્રમિક, પછી તે ગિગ વર્કર હોય, અનૌપચારિક ક્ષેત્રનો કામદાર હોય કે પ્રવાસી મજૂર હોય – તે તમામને વધુ સારું વેતન અને મજબૂતી સાથે જોડાયેલી સુવિધાઓનો કાયદાકીય હક મળે તે સુનિશ્ચિત કરવાનો છે. આ વ્યાપક કાયદાકીય સુધારાઓ શ્રમિકોને એક સુરક્ષિત અને વધુ ન્યાયી કાર્યકારી વાતાવરણ પ્રદાન કરીને દેશના સમગ્ર શ્રમબળને સશક્ત બનાવવાનો પ્રયાસ છે.