ભાજપ નેતા બૃજભૂષણ શરણ સિંહને મોટી રાહત: પોક્સો કેસ બંધ, કોર્ટે આપી મંજૂરી

May 26, 2025

બ્રિજભૂષણ વિરુદ્ધ ખોટી ફરિયાદ, પીડિતાના પિતાએ કર્યો હતો દાવો


ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે ચાલી રહેલા POCSO કેસમાં મોટી રાહત મળી છે. પટિયાલા હાઉસ કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહ સામે ચાલી રહેલા POCSO કેસને બંધ કરી દીધો છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સગીર પહેલવાનના જાતીય શોષણના કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહને નિર્દોષ જાહેર કર્યા છે.


પટિયાલા હાઉસ કોર્ટે POCSO કેસમાં દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરાયેલ કેન્સલેશન રિપોર્ટ સ્વીકારી લીધો છે. જણાવી દઈએ કે, કોર્ટમાં આપેલા પોતાના નિવેદનમાં, સગીર પહેલવાને કહ્યું હતું કે, તેણે ભાવનાત્મક દબાણ અને પ્રભાવ હેઠળ આ આરોપ લગાવ્યો હતો. તપાસ દરમિયાન પીડિતાના પિતાએ દાવો કર્યો હતો કે, તેમણે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી હતી. આ આધારે પોલીસે POCSO એક્ટ હેઠળ નોંધાયેલ કેસ બંધ કરવાની ભલામણ કરી હતી. જે બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો. 
અગાઉ, 1 ઓગસ્ટ, 2023 ના રોજ બંધ બારણે સુનાવણી દરમિયાન, સગીર પહેલવાનએ કોર્ટને કહ્યું હતું કે તે દિલ્હી પોલીસની તપાસથી સંતુષ્ટ છે. તેમને ક્લોઝર રિપોર્ટ સામે કોઈ વાંધો નથી. દિલ્હી પોલીસે 15 જૂન, 2023 ના રોજ આ કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો.