સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ભાજપને ફટકો: પક્ષપલટો કરનારા ભૂપત ભાયાણી અને રાજુ કરપડાની હાર

April 28, 2026

રાજકોટ: રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, જેમાં કેટલાક ચોંકાવનારા પરિણામો આવ્યા છે. AAPમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય ભૂપત ભાયાણી તથા ખેડૂત આગેવાન રાજુ કરપડાની કારમી હાર થઈ હતી. રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી 2 બેઠક પરથી ભાજપના ઉમેદવાર હતા. ભાજપમાં જોડાયાના બીજા જ દિવસે તેમને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તેમનો પરાજય થયો હતો. રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દુધઈ ગામના વતની છે. તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી AAPના ઉમેદવાર તરીકે લડ્યા હતા.

જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પરથી ભાજપે ભૂપત ભાયાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા. જોકે વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રદેશ ભાજપે ભૂપત ભાયાણીને નજરઅંદાજ કર્યા હતા અને તેમને જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પરથી ટિકિટ આપી હતી. આજે જાહેર થયેલા પરિણામમાં તેમનો 1700 મતોથી પરાજય થયો હતો. રાજુ કરપડા અગાઉ પાક વીમાની કંપની સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવીને ચર્ચામાં આવ્યા હતા.