હિંમતનગર પાસે બસે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કારને ટક્કર મારી, 6 મુસાફરોનાં કમકમાટીભર્યા મોત

April 29, 2026

સાબરકાંઠા જિલ્લામાં આજે સવારના સમયે હિંમતનગર નજીક જસવંતગઢ પાટિયા પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શામળાજીથી અમદાવાદ તરફ જતાં નેશનલ હાઈવે પર પુરપાટ ઝડપે આવતી એક ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ બસે આગળ જઈ રહેલી કારને પાછળથી એટલી જોરદાર ટક્કર મારી હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ભીષણ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો પાછળનો અને ઉપરનો ભાગ સાવ દબાઈ ગયો હતો. કારમાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં અંદર જ ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં અન્ય 6 લોકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાઈવે પર વાહનોની અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે પોલીસ અને સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હાલ પોલીસે મૃતકોના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાઈવે પર સતત વધતા અકસ્માતોએ ફરી એકવાર વાહન ચાલકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.