ચિરાગ પાસવાને બિહારની 243 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની કરી જાહેરાત

June 08, 2025

પટણા : આ વર્ષના અંતે બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનના સાથી પક્ષે ગઠબંધનની વિરુદ્ધમાં જઈને રાજ્યની તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. 
લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને મોટી જાહેરાત કરીને બિહારની તમામ 243 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ચિરાગે આક્ષેપ કર્યો છે કે, બિહારમાં મને અને અમારી પાર્ટીને ખતમ કરવા માટે કેટલાક લોકોએ મોટું ષડયંત્ર રચ્યું છે. મને તોડવા માટે મારા પરિવારને પણ તોડવામાં આવ્યો, મને ઘરમાંથી પણ કાઢી મુકાયો, પરંતુ મેં ક્યારે હાર માની નથી, કારણ કે, હું સિંહનો પુત્ર છે.


જ્યારે ચિરાગને એમ પૂછવામાં આવ્યું કે, શું તમે બિહારમાં ચૂંટણી લડશો, તો તેમણે કહ્યું કે, મેં મારા પિતાના સ્વપ્નને પૂરો કરવા માટે વર્ષ 2020માં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 2025માં રાજ્યની તમામ 243 બેઠકો પર ચૂંટણી લડીશું. તેમણે એમ પણ કહ્યું કે, હું બિહાર ચૂંટણી નહીં લડું, પરંતુ બિહાર માટે ચૂંટણી લડીશ. આ તમારે નિર્ણય લેવાનો છે કે, તેઓ બિહારમાં ક્યાંથી ચૂંટણી લડે. હું જે લક્ષ્ય સાથે ચાલી રહ્યો છું, તે માટે હું એકલા હાથે કશું ન કરી શકું. તેમાં તમારા બધાનો સાથ જરૂરી છે.