Breaking News :

ઉદયપુર રાજવી પરિવારમાં વિવાદ અટક્યો! સિટી પેલેસ જઈને વિશ્વરાજસિંહ મેવાડે કર્યા ધૂણી દર્શન

November 27, 2024

ઉદયપુર : ઉદયપુરના પૂર્વ મેવાડ રાજવી પરિવારમાં પ્રોપર્ટીને લઈને વિવાદ સર્જાયો હતો. વિવાદને લઈને વાત એટલી હદે બગડી હતી કે સિટી પેલેસની બહાર પથ્થરમારો થઈ ગયો હતો. જો કે, હવે વિવાદ ઉકેલાયો છે. વિશ્વરાજ સિંહ મેવાડ સિટી પેલેસની અંદર ગયા છે. તેમણે પોલીસ અને જિલ્લા તંત્રના અધિકારીઓની હાજરીમાં પવિત્ર માનવામાં આવતી ધૂણીને નમન કર્યા. રાજસ્થાનમાં ઉદયપુર રાજવી પરિવાર વચ્ચે વિવાદ વકર્યો હતો. ચિતોડમાં મહેન્દ્ર સિંહ મેવાડના નિધન બાદ તેમના દીકરા વિશ્વરાજ સિંહ મેવાડનું રાજતિલક થયું, પરંતુ ત્યારબાદ ધૂણી દર્શનને લઈને વિવાદ થઈ ગયો. આ ઘટના ત્યારે બની જ્યારે વિશ્વરાજ સિંહ મેવાડ પોતાના સમર્થકોની સાથે ઉદયપુરના સિટી પેલેસમાં ધૂણી દર્શન માટે પહોંચ્યા અને તેમને મહેલમાં પ્રવેશ ન કરવા દેવાયો.


ત્યારબાદ સ્થિતિ એટલી તણાવપૂર્ણ બની ગઈ કે મોડી રાત સુધી મહેની બહાર અને અંદર લોકો વચ્ચે પથ્થરમારો થયો. પોલીસ કાફલો ખડકી દેવાયો તેમ છતા વિવાદ અટકી રહ્યો ન હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ જિલ્લા તંત્રના અધિકારીઓને ઘટના સ્થળે પહોંચ્યા. ઉદયપુરના ડીએમ અને સિટી એસપી પણ હાજર રહ્યાં. મેવાડની પરંપરા અનુસાર, રાજતિલક ત્યાં સુધી અધૂરું માનવામાં આવે છે, જ્યાં સુધી ધૂણી દર્શન અને એકલિંગજીના દર્શન ન કરી લેવામાં આવે. જો કે, ધૂણી દર્શનને લઈને વિવાદના કારણે વિશ્વરાજ સિંહ મેવાડનું રાજતિલક હજુ અધૂરું જ માનવામાં આવી રહ્યું છે. રાજવી પરિવારની પરંપરાઓ અનુસાર, આ સ્થિતિ ખૂબ જ ગંભીર છે.


મેવાડના રાજવી પરિવારના બે મુખ્ય પરિવારો વચ્ચે સંપત્તિને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ અને મહેન્દ્ર સિંહ બંને ભાઈ છે અને તેમની વચ્ચે સંપત્તિના અધિકારોને લઈને કાયદાકીય વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે એકલિંગજી મંદિર અને સિટી પેલેસ સહિતની કેટલીક સંપત્તિઓ સામેલ છે, જ્યાં અરવિંદ સિંહ ટ્રસ્ટના સર્વેયર તરીકે કામ કરી રહ્યા છે. હાલમાં જ મહેન્દ્ર સિંહ મેવાડનું નિધન થયું, ત્યારબાદ તેમના દીકરા વિશ્વરાજ સિંહનું રાજતિલક થયું, પરંતુ ધૂણી દર્શનને લઈને વિવાદ થયો છે.