હાલ મારું ધ્યાન મિશન પર, ભારત આવીને જવાબ આપીશ: થરૂર

June 01, 2025

બ્રાઝિલ- કોંગ્રેસ નેતા શશિ થરૂર ભારત તરફથી વિશ્વભરમાં મોકલવામાં આવેલા ડેલિગેશનનો હિસ્સો બનતાં જ પોતાના જ પક્ષના લોકોની ટીકાઓનો ભોગ બન્યા છે. વારંવાર કોંગ્રેસનો વિવિધ નેતાઓ થરૂરની ટીકા કરી રહ્યા છે. જેના પર ફરી એકવાર સ્પષ્ટતા આપતાં થરૂરે કહ્યું કે, હાલ મારી પાસે આ બધી વાતો માટે સમય નથી.
મીડિયા સાથે વાતચીતમાં બ્રાઝિલમાં થરૂરને સવાલ કરવામાં આવ્યો હતો કે, કોંગ્રેસ નેતા તમારી ટીકાઓ કરી રહ્યા છે. તો તેનો જવાબ આપતાં તેમણે કહ્યું કે, આ બધી વાતો માટે મારી પાસે સમય નથી. હું હાલ માત્ર મારા મિશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું.
થરૂરે આગળ કહ્યું કે, આપણે આ મિશનને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેવું જોઈએ. એક સંપન્ન લોકતંત્રમાં ટિપ્પણીઓ અને ટીકાઓ થતી રહે છે. પરંતુ મને લાગે છે કે, હાલ આ બધી વાતો પર ધ્યાન આપવાની જરૂર નથી. જ્યારે અમે ભારત પાછા આવીશું, ત્યારે અમારી પાસે અમારા સહયોગીઓ, ટીકાકારો, મીડિયા સાથે વાતચીત કરવાની તક હશે. પરંતુ હાલ અમે એવા દેશો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ, જ્યાં અમે જઈને આપણા દેશનો સંદેશ પહોંચાડી રહ્યા છીએ.


ડેલિગેશન માટે જ્યારે કેન્દ્ર સરકારે વિવિધ પક્ષો પાસેથી પોતાના નેતાઓની યાદી મગાવી હતી, ત્યારથી જ કોંગ્રેસ અને થરૂર વચ્ચે મડાગાંઠ ઉભી થઈ છે. કેન્દ્ર સરકારે ડેલિગેશન માટે કોંગ્રેસમાંથી થરૂરની ભલામણ ન થઈ હોવા છતાં પસંદગી કરી હતી. જેનાથી વિપક્ષ નારાજ થયો હતો. વધુમાં થરૂરના નિવેદનો પર ટીકા કરતાં કોંગ્રેસના નેતા ઉદિત રાજે કહ્યું હતું કે, કોંગ્રેસે તેમને બધું આપ્યું, પરંતુ કોંગ્રેસ વિરુદ્ધ નિવેદનો આપીને તેમણે સ્પષ્ટ કરી દીધું કે તેઓ કોંગ્રેસનું કલ્યાણ ઇચ્છતા નથી. બીજી તરફ, પવન ખેરાએ ટીકા કરી હતી કે. થરૂરે તેમના પુસ્તકમાં સર્જિકલ સ્ટ્રાઈકની ટીકા કરી હતી, પરંતુ હવે તેઓ વિવિધ દેશોમાં જઈને તેની પ્રશંસા કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ થરૂરને વડાપ્રધાન મોદીની પાર્ટીના પ્રવક્તા અથવા વિદેશમંત્રી બની જવા સલાહ આપતાં ટીકા કરી હતી. તેમણે આક્ષેપ મૂક્યો હતો કે, થરૂર વિદેશમાં ફક્ત ભાજપ માટે કામ કરી રહ્યા છે.